૧૪
૧ પછી તૂરના રાજા હીરામે, દાઉદને માટે મહેલ બાંધવા સારુ તેની પાસે સંદેશાવાહકો સાથે એરેજકાષ્ટ, કડિયા તથા સુતારો મોકલ્યા. ૨ દાઉદ જાણતો હતો કે યહોવાહે, તેને ઇઝરાયલના રાજા તરીકે સ્થાપ્યો છે અને તેના ઇઝરાયલી લોકો માટે તેના રાજ્યનો મહિમા ઘણો વધાર્યો છે.
૩ યરુશાલેમમાં, દાઉદે વધારે પત્નીઓ કરી અને તે બીજા ઘણાં દીકરા-દીકરીઓનો પિતા થયો. ૪ યરુશાલેમમાં તેના જે દીકરાઓ જન્મ્યા તેઓનાં નામ આ પ્રમાણે છે: શામ્મૂઆ, શોબાબ, નાથાન, સુલેમાન, ૫ ઇબ્હાર, અલિશુઆ, એલ્પેલેટ, ૬ નોગા, નેફેગ, યાફીઆ, ૭ અલિશામા, બેલ્યાદા તથા અલિફેલેટ.
૮ હવે જ્યારે પલિસ્તીઓએ સાંભળ્યું કે દાઉદ આખા ઇઝરાયલ પર રાજા તરીકે અભિષિક્ત થયો છે, ત્યારે તેઓ સર્વ તેની સામે લડાઈ કરવાને આવ્યા. પણ તે સાંભળીને દાઉદ તેઓની સામે બહાર નીકળ્યો. ૯ હવે પલિસ્તીઓએ આવીને રફાઈમની ખીણમાં હુમલો કરીને લૂંટ ચલાવી.
૧૦ પછી દાઉદે યહોવાહની સલાહ લીધી. તેણે પૂછ્યું, “શું હું પલિસ્તીઓ પર આક્રમણ કરું? શું તમે મને તેઓ પર વિજય અપાવશો?” યહોવાહે તેને કહ્યું, “આક્રમણ કર, હું તેઓને તારા હાથમાં સોંપી દઈશ.” ૧૧ તેથી દાઉદ અને તેના માણસો, બાલ-પરાસીમ આગળ આવ્યા અને ત્યાં દાઉદે તેમને હરાવ્યા. દાઉદે કહ્યું; “જેમ પાણીના જોરથી પાળ તૂટી પડે છે તેમ ઈશ્વરે મારા દુશ્મનોનો સંહાર કર્યો છે.” તેથી તે જગ્યાનું નામ બાલ-પરાસીમ રાખવામાં આવ્યું. ૧૨ પલિસ્તીઓ પોતાના દેવોને ત્યાં જ પડતા મૂકીને નાસી ગયા હતા, દાઉદની આજ્ઞાથી તેઓને બાળી નાખવામા આવ્યા.
૧૩ પછી પલિસ્તીઓએ ફરીથી બીજી વાર ખીણમાં લૂંટ ચલાવી. ૧૪ તેથી દાઉદે ફરીથી ઈશ્વરની સલાહ માગી. ઈશ્વરે તેને કહ્યું, “તું તેઓના ઉપર સામેથી હુમલો કરીશ નહિ, પણ ફરીને તેમની પાછળ જઈ શેતુરના વૃક્ષોની સામેથી તેઓ પર હુમલો કરજે.
૧૫ જ્યારે શેતૂરવૃક્ષોની ટોચમાં કૂચ થતી હોવાનો અવાજ તને સંભળાય, ત્યારે તું બહાર નીકળીને હુમલો કરજે. કેમ કે પલિસ્તીઓના સૈન્યનો સંહાર કરવા માટે ઈશ્વર તારી આગળ ગયા છે.” ૧૬ ઈશ્વરે દાઉદને આજ્ઞા કરી હતી તેમ તેણે કર્યું. તેણે ગિબ્યોનથી તે છેક ગેઝેર સુધી પલિસ્તીઓના સૈન્યનો સંહાર કર્યો. ૧૭ પછી દાઉદની કીર્તિ સર્વ દેશોમાં પ્રસરી ગઈ અને યહોવાહે, સર્વ પ્રજાઓને તેનાથી ભયભીત બનાવી દીધી.