૧૦
૧ ''હે ઇઝરાયલના લોકો, જે વચન યહોવાહ તમને કહે છે તે સાંભળો.
૨ યહોવાહ આ પ્રમાણે કહે છે કે, વિદેશીઓને રસ્તે જશો નહિ,
અને આકાશોના ચિહ્નોથી ભયભીત થશો નહિ. કેમ કે વિદેશીઓ તેઓથી ભયભીત થયા છે.
૩ કેમ કે તે લોકોની ધર્મક્રિયા વ્યર્થ છે. કુહાડાથી વનમાં કાપેલા ઝાડનાં લાકડાં પર કારીગર પોતાના હાથથી કામ કરે છે.
૪ એ મૂર્તિને તેઓ સોનારૂપાથી શણગારે છે. અને તે હાલે નહિ, માટે તેને હથોડાથી ખીલા મારીને બેસાડે છે.
૫ તે કાકડીની વાડીના સ્તંભ જેવી છે. મૂર્તિઓ બોલતી નથી, તેઓને ઉપાડવી પડે છે. કેમ કે તેઓ ચાલી શકતી નથી.
તેઓથી ન બીઓ. કેમ કે તેઓ ભૂંડું કરી શકે નહિ. તેમ જ ભલું પણ કરી શકતી નથી.
૬ હે યહોવાહ, તમારા જેવા બીજા કોઈ ઈશ્વર નથી. તમે મહાન છો અને સામર્થ્યમાં તમારું નામ મોટું છે.
૭ હે સર્વ પ્રજાઓના રાજા, તમારો ભય કોને નહિ લાગે? કેમ કે રાજ્ય તમારું છે.
વળી વિદેશીઓના સર્વ જ્ઞાનીઓમાં અને બધા રાજ્યોમાં તમારા જેવું કોઈ નથી.
૮ તેઓ સર્વ નિર્બુદ્ધ અને મૂર્ખ છે. મૂર્તિઓ પાસેથી જે શિખામણ મળે છે તે માત્ર લાકડું જ છે.
૯ તેઓ તાર્શીશમાંથી રૂપાનાં પતરાં લાવે છે. અને ઉફાઝમાંથી સોનું લાવે છે. કારીગર તથા સોની તે પર કામ કરે છે.
તેઓના વસ્ત્ર નીલરંગી તથા જાંબુડિયાં છે. તે સઘળું નિપુણ માણસોનું કામ છે.
૧૦ પરંતુ યહોવાહ સત્ય ઈશ્વર છે, તે જ જીવંત ઈશ્વર તથા સનાતન રાજા છે.
તેમના રોષથી ધરતી ધ્રૂજી ઊઠે છે. અને તેમનો ક્રોધ વિદેશીઓ ખમી શકતા નથી.
૧૧ તેઓને કહો કે, જે દેવોએ આકાશ તથા પૃથ્વી બનાવ્યાં નથી
તેઓ પૃથ્વી પરથી તથા આકાશ તળેથી નાશ પામશે.'
૧૨ ઈશ્વરે પોતાના સામર્થ્યથી પૃથ્વીને ઉત્પન્ન કરી છે, પોતાના ડહાપણથી પૃથ્વીને સ્થાપી છે અને પોતાના કૌશલ્યથી આકાશને વિસ્તાર્યું છે.
૧૩ તે ગર્જના કરે છે ત્યારે આકાશમાં પાણીનો ઘુઘવાટ થાય છે. અને પૃથ્વીને છેડેથી તે વાદળાં ચઢાવે છે.
તે વરસાદને માટે વીજળીને ચમકાવે છે અને પોતાના ભંડારમાંથી વાયુઓને કાઢે છે.
૧૪ બધા માણસો મૂર્ખ અને અજ્ઞાની થઈ ગયા છે. દરેક સોની પોતે બનાવેલી મૂર્તિ જોઈને લજ્જિત થયો છે,
કેમ કે તેની ગાળેલી મૂર્તિ અસત્ય છે; તેઓમાં શ્વાસ નથી.
૧૫ તેઓ વ્યર્થ છે, તેઓ ભ્રાંતિરૂપ છે. તેઓના શાસનના સમયે તેઓ નાશ પામશે.
૧૬ પણ યાકૂબનો હિસ્સો તેમના જેવો નથી; યાકૂબના ઈશ્વર તો આખી સૃષ્ટિના સર્જનહાર છે
અને ઇઝરાયલીઓને તે પોતાની પ્રજા ગણે છે; તેમનું નામ સૈન્યોના ઈશ્વર યહોવાહ છે.
૧૭ હે કિલ્લામાં રહેનારી તારો સરસામાન બાંધ અને દેશમાંથી નીકળી જા.
૧૮ કેમ કે યહોવાહ કહે છે કે; જુઓ, આ વખતે હું દેશના રહેવાસીઓને ગોફણના ગોળાની જેમ બહાર ફેંકી દઈશ
અને તેઓને ખબર પડે તે માટે, હું તેઓને દુઃખી કરીશ.'
૧૯ અમારા ઘાને લીધે અફસોસ! મને ભારે જખમ લાગ્યો છે.
તેથી મેં કહ્યું, 'ખરેખર આ તો મારું દુઃખ છે અને મારે તે સહન કરવું જોઈએ.'
૨૦ મારો તંબુ નષ્ટ થયો છે અને મારા સર્વ દોરડાં તૂટી ગયાં છે;
તેઓએ અમારા દીકરાઓને અમારી પાસેથી લઈ લીધા છે. હવે તેઓ અહીં નથી. અમારો તંબુ ફરી ઊભો કરનાર કે એના પડદા બાંધનાર કોઈ નથી.
૨૧ કેમ કે પાળકો મૂર્ખ થઈ ગયા છે. તેઓ યહોવાહને અનુસરતા નથી.
તેથી તેઓ સફળ થતા નથી; અને તેઓનાં બધાં ટોળાં વેરવિખેર થઈ ગયાં છે.
૨૨ જુઓ, બુમાટાનો અવાજ પાસે આવ્યો છે; તે આવે છે. ઉત્તર તરફથી મોટો કોલાહલ સંભળાય છે. જેથી યહૂદિયાનાં નગરો ઉજ્જડ થઈ જાય અને તેમાં શિયાળવાં વસે.
૨૩ હે યહોવાહ, હું જાણું છું કે મનુષ્યનો માર્ગ તેના હાથમાં નથી. માણસ પોતાનો જીવનમાર્ગ નક્કી કરી શકતો નથી.
૨૪ હે યહોવાહ ન્યાયની રૂએ મને શિક્ષા કરો, રોષમાં નહિ, રખેને તમે અમને નાબૂદ કરો.
૨૫ જે વિદેશીઓ તમને માનતા નથી, જે કુળો તમારું નામ લેતાં નથી. તેઓના પર તમારો કોપ રેડી દો
કેમ કે તેઓ યાકૂબને ખાઈ ગયા છે, તેમણે તેમનો અંત આણ્યો છે અને તેમના દેશને વેરાન બનાવી દીધો છે.''