૧૯
૧ અવળું બોલનારા મૂર્ખ શ્રીમંત કરતાં
પ્રામાણિકપણાથી વર્તનાર ગરીબ વ્યક્તિ સારી છે.
૨ વળી ડહાપણ વગરની આકાંક્ષા સારી નથી
અને ઉતાવળાં પગલાં ભરનાર પાપમાં પડે છે.
૩ વ્યક્તિ પોતાની મૂર્ખાઈથી પાયમાલ થાય છે
અને તેનું હૃદય યહોવાહ વિરુદ્ધ ચિડાય છે.
૪ સંપત્તિ ઘણા મિત્રો વધારે છે,
પણ ગરીબ વ્યક્તિના મિત્રો તેને છોડી જાય છે.
૫ જૂઠો સાક્ષી સજા પામ્યા વગર રહેશે નહિ.
અને શ્વાસે શ્વાસે જૂઠું બોલનાર માણસ સજાથી બચી જશે નહિ.
૬ ઉદાર માણસની મહેરબાની માટે ઘણા માણસો ખુશામત કરે છે
અને દરેક માણસ દાતારનો મિત્ર થવા ચાહે છે.
૭ દરિદ્રીના સર્વ ભાઈઓ તેનો ધિક્કાર કરે છે,
તેના મિત્રો વિશેષે કરીને તેનાથી કેટલે બધે દૂર જાય છે!
તે તેઓને બોલાવે છે, પણ તેઓ ચાલ્યા ગયા છે.
૮ જે ડહાપણ મેળવે છે તે પોતાના આત્માને જ ચાહે છે.
જે વિવેક જાળવે છે તે સારી વસ્તુને મેળવે છે.
૯ જૂઠો સાક્ષી શિક્ષા પામ્યા વગર રહેશે નહિ,
પણ જે શ્વાસે શ્વાસે જૂઠું બોલે છે તે અવશ્ય નાશ પામશે.
૧૦ મૂર્ખને માટે મોજશોખ ભોગવવો શોભાસ્પદ નથી
ગુલામોને રાજકુમારો પર સત્તા ચલાવે તે કેટલું બધું અઘટિત છે.
૧૧ માણસની વિવેકબુદ્ધિ તેના ક્રોધને શાંત કરે છે
અને અપરાધની ક્ષમા આપવી એ તેનો મહિમા છે.
૧૨ રાજાનો ક્રોધ સિંહની ગર્જના જેવો છે,
પણ તેની કૃપા ઘાસ પરના ઝાકળ જેવી છે.
૧૩ મૂર્ખ પુત્ર પોતાના પિતાને વિપત્તિરૂપ છે;
અને કજિયાખોર પત્ની સતત ટપકતા પાણી જેવી છે.
૧૪ ઘર અને ધન તો પિતા તરફથી વારસામાં મળે છે,
પણ ડાહી પત્ની યહોવાહ તરફથી મળે છે.
૧૫ આળસ ભરનિદ્રામાં નાખે છે
અને આળસુ માણસને ભૂખ વેઠવી પડે છે.
૧૬ જે આજ્ઞાનું પાલન કરે છે તે પોતાના આત્માનું રક્ષણ કરે છે,
પણ જે પોતાના માર્ગો વિષે બેદરકાર છે તે મૃત્યુ પામે છે.
૧૭ ગરીબ પર દયા રાખનાર યહોવાહને ઉછીનું આપે છે
અને તે તેને તેનાં સુકૃત્યોનો બદલો આપશે.
૧૮ આશા છે ત્યાં સુધી તારા બાળકને શિક્ષા કર
અને તેનો નાશ કરવાને તું મન ન લગાડ.
૧૯ ઉગ્ર ક્રોધીને શિક્ષા ભોગવવી પડશે;
જો તું તેને બચાવવા જશે, તો તારે વારંવાર તેમ કરવું પડશે.
૨૦ સલાહ સાંભળીને શિખામણ સ્વીકાર;
જેથી તું તારા આયુષ્યનાં અંતિમ ભાગમાં જ્ઞાની થાય.
૨૧ માણસના મનમાં ઘણી યોજનાઓ હોય છે,
પણ ફક્ત યહોવાહની ઇચ્છાઓ જ કાયમ રહેશે.
૨૨ માણસ પોતાની દયાવૃત્તિના પ્રમાણમાં પ્રિય થાય છે;
જૂઠા માણસ કરતાં ગરીબ માણસ વધારે સારો છે.
૨૩ યહોવાહનું ભય જીવનદાન
અને સંતોષ આપે છે
તેથી તેનું ભય રાખનાર પર
નુકસાનકારક માર આવશે નહિ.
૨૪ આળસુ પોતાનો હાથ થાળીમાં મૂકે છે ખરો,
પણ તેને પોતાના મોં સુધી ઉઠાવવાનું તેનું મન થતું નથી.
૨૫ તિરસ્કાર કરનાર વ્યક્તિને મારશો, તો ભોળો શાણો થશે;
બુદ્ધિમાનને ઠપકો આપશો, તો તે ડહાપણમાં પ્રવીણ થશે.
૨૬ જે પુત્ર પોતાના પિતાને લૂંટે છે અને પોતાની માતાને કાઢી મૂકે છે
તે બદનામ કરાવનાર તથા બટ્ટો લગાડનાર દીકરો છે.
૨૭ હે મારા દીકરા, જો તું ડહાપણની વાતો સાંભળવાનું બંધ કરીશ,
તો તું ડહાપણના શબ્દોને ખોઈ નાખીશ.
૨૮ દુષ્ટ સાક્ષી ન્યાયની મશ્કરી કરે છે
અને દુષ્ટનું મુખ અન્યાયને ગળી જાય છે.
૨૯ તિરસ્કાર કરનારાઓને માટે શિક્ષા
અને મૂર્ખોની પીઠને માટે ફટકા તૈયાર કરેલા છે.