૧૧૨
૧ યહોવાહની સ્તુતિ કરો.
જે યહોવાહને માન આપે છે,
જે તેમની આજ્ઞાઓ પાળવામાં ખુશ થાય છે, તેઓ આશીર્વાદિત છે.
૨ તેના વંશજો પૃથ્વી પર બળવાન થશે;
ઈશ્વરના લોકો આશીર્વાદ પામશે.
૩ તેઓના ઘરમાં ધનદોલતની વૃદ્ધિ થશે;
તેઓનું ન્યાયીપણું સદાકાળ ટકશે.
૪ ઈશ્વરના લોકો માટે અંધકારમાં પ્રકાશ પ્રગટ થાય છે;
તે કૃપાળુ, દયાળુ અને ન્યાયી છે.
૫ જે માણસ કૃપા રાખીને આપે છે,
તે પોતાના કામમાં પ્રામાણિકપણે ચાલશે.
૬ કેમ કે તે કદી પડશે નહિ;
ન્યાયી માણસનું સ્મરણ સર્વકાળ રહેશે.
૭ તે ખરાબ સમાચારથી ગભરાતો નથી;
તેને યહોવાહમાં આત્મવિશ્વાસ અને ભરોસો હોય છે.
૮ તેનું હૃદય શાંત છે,
તે પોતાના શત્રુઓ પર વિજય મેળવતા સુધી ગભરાશે નહિ.
૯ તેણે ઉદારતાથી ગરીબોને આપ્યું છે;
તેનું ન્યાયીપણું સર્વકાળ ટકે છે;
તેને માન સહિત ઊંચો કરવામાં આવશે.
૧૦ દુષ્ટો આ જોઈને ગુસ્સે થશે;
તેઓ પોતાના દાંત પીસશે અને ઓગળી જશે;
દુષ્ટોની યોજનાઓ નિષ્ફળ જશે.