પુનર્નિયમ 
લેખક 
પુનર્નિયમનું પુસ્તક મૂસાએ લખ્યું હતું, કે જે વાસ્તવમાં તેના ઇઝરાયલીઓને આપેલા સંદેશાઓનો સંગ્રહ છે કે જે તેઓએ યરદન નદી પાર કરી બરાબર તે અગાઉ તેણે આપ્યા હતા. “આ એ વચનો છે કે જે મૂસાએ કહ્યાં” (1:1). કોઈ બીજી વ્યક્તિએ (કદાચને યહોશુઆએ) અંતિમ અધ્યાય લખ્યો હોય શકે. આ પુસ્તક પોતે મોટા ભાગનું લખાણ મૂસાએ લખ્યું હતું તેમ જણાવે છે (1:1,5; 31:24). પુનર્નિયમનું પુસ્તક મૂસા અને ઇઝરાયલીઓને મોઆબના પ્રદેશમાં જ્યાં યરદન નદી મૃત સમુદ્રમાં ભળે છે તે વિસ્તારમાં સ્થિત બતાવે છે (1:5). પુનર્નિયમનો અર્થ “દ્વિતીય નિયમ” એવો થાય છે. તે ઈશ્વર અને ઇઝરાયલી લોકો વચ્ચેના કરારનું ફરી કરાયેલું વર્ણન છે. 
લખાણનો સમય અને સ્થળ 
લખાણનો સમય અંદાજિત ઇ.પૂ. 1446 થી 1405 વચ્ચેનો છે. 
આ પુસ્તક ઇઝરાયલીઓના વચનના દેશમાં પ્રવેશવાના 40 દિવસ અગાઉના ગાળામાં લખવામાં આવ્યું હતું. 
વાંચકવર્ગ 
તેઓના માતાપિતાએ મિસરની ગુલામગીરીમાંથી છૂટ્યા તેના 40 વર્ષ બાદની ઇઝરાયલીઓની નવી પેઢી કે જેઓ વચનના દેશમાં પ્રવેશવા તૈયાર હતા તેઓ અને ત્યાર બાદના બધા જ બાઇબલ વાંચકો. 
હેતુ 
પુનર્નિયમ એ મૂસાનું દેશને અપાયેલું “વિદાયગીરીનું ભાષણ” છે. ઇઝરાયલીઓ વચનના દેશમાં પ્રવેશવા તૈયાર ઊભા છે. મિસરમાંથી નિર્ગમન કર્યાના ચાલીસ વર્ષો બાદ, આ રાષ્ટ્ર કનાન દેશ જીતવા યરદન નદી પાર કરવાની તૈયારીમાં છે. તો પણ મૂસા તો મૃત્યુ પામવાની તૈયારીમાં હતો અને તે રાષ્ટ્ર સાથે વચનના દેશમાં જઇ શકવાનો નહોતો. મૂસાનું વિદાયગીરીનું ભાષણ રાષ્ટ્ર માટે ઈશ્વરની આજ્ઞાઓ પાળવાની એક જુસ્સેદાર અરજ છે કે જેથી નવા દેશમાં તેઓનું બધું જ સારું થાય. (6:1-3, 17-19). આ ભાષણ લોકોને તેઓના ઈશ્વર કોણ છે (6:4) અને તેમણે તેઓ માટે શું કર્યું છે (6:10-12, 20-23) તે યાદ કરાવે છે. મૂસા લોકોને વિનંતી કરે છે કે તેઓ આ આજ્ઞાઓને આવનાર પેઢીઓને પહોંચાડતા રહે. (6:6-9). 
મુદ્રાલેખ 
આજ્ઞાપાલન 
રૂપરેખા 
1. ઇઝરાયલની મિસરથી મુસાફરી — 1:1-3:29 
2. ઇઝરાયલનો ઈશ્વર સાથેનો સંબંધ — 4:1-5:33 
3. ઈશ્વર પ્રત્યેની વફાદારીનું મહત્ત્વ — 6:1-11:32 
4. કેવી રીતે ઈશ્વરને પ્રેમ કરવો તથા તેમની આજ્ઞાઓ પાળવી — 12:1-26:19 
5. આશીર્વાદો અને શ્રાપો — 27:1-30:20 
6. મૂસાનું મરણ — 31:1-34:12  
 1
 1 યર્દન પાર* 1:1 યર્દનની પૂર્વ પ્રદેશ અરણ્યમાં, સૂફ સમુદ્રની સામેના અરાબાની ખીણ પ્રદેશમાં, પારાન, તોફેલ, લાબાન, હસેરોથ તથા દી-ઝાહાબ તેઓની નગરો આવેલાં હતા ત્યાં જે વચનો મૂસાએ ઇઝરાયલપુત્રોને કહી સંભળાવ્યાં તે નીચે મુજબ છે.  2 સેઈર પર્વતને માર્ગે હોરેબથી કાદેશ બાર્નેઆ સુધીનું અંતર અગિયાર દિવસની મજલ જેટલું છે. 
 3 મિસર દેશ છોડ્યાના ચાળીસમા વર્ષના અગિયારમા મહિનાને પ્રથમ દિવસે એમ થયું કે, જે સર્વ આજ્ઞાઓ યહોવાહે મૂસાને આપી હતી, તે તેણે ઇઝરાયલી લોકોને કહી સંભળાવી.  4 એટલે અમોરીઓનો રાજા સીહોન જે હેશ્બોનમાં રહેતો હતો અને બાશાનનો રાજા ઓગ જે આશ્તારોથમાં એડ્રેઇ પાસે રહેતો હતો, તેઓનો ઈશ્વરે નાશ કર્યો ત્યાર પછી. 
 5 યર્દન પાર મોઆબ દેશમાં મૂસાએ આ નિયમ પ્રગટ કરવાની શરૂઆત કરીને કહ્યું કે,  6 આપણા ઈશ્વર યહોવાહે હોરેબ પર આપણને કહ્યું હતું કે, તમને આ પર્વત પર ઘણો જ વખત વીતી ગયો છે. 
 7 તો હવે તમે પાછા ફરો, અને કૂચ કરીને અમોરીઓના પહાડી પ્રદેશમાં તથા તેની નજીકની સર્વ જગ્યાઓમાં એટલે અરાબા, પહાડીપ્રદેશમાં, નીચલાપ્રદેશમાં, નેગેબમાં તથા સમુદ્રકાંઠે, કનાનીઓના દેશમાં તથા લબાનોનમાં એટલે મોટી નદી ફ્રાત નદી સુધી જાઓ.  8 જુઓ, તમારી આગળ આ જે દેશ હું દર્શાવું છું; તેમાં પ્રવેશ કરો. એ દેશ વિષે યહોવાહે તમારા પૂર્વજો એટલે ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ આગળ પ્રતિજ્ઞા લીધી હતી કે હું તમને તથા તમારા વંશજોને તે દેશ આપીશ તેનું વતન પ્રાપ્ત કરો.’ ” 
મૂસા ન્યાયાધીશો નીમે છે 
 9 “તે સમયે મેં તમને એવું કહ્યું હતું કે, હું પોતે એકલો તમારો બધાનો બોજો ઉપાડવાને શક્તિમાન નથી.  10 તમારા યહોવાહે તમારો વિસ્તાર વધાર્યો છે, અને જુઓ, આજે તમારી સંખ્યા આકાશના તારાઓ જેટલી છે.  11 તમારા પૂર્વજોના ઈશ્વર યહોવાહે તમને આપેલા વચન પ્રમાણે તમે છો તેના કરતાં તમને હજારગણા વધારો અને આશીર્વાદ આપો. 
 12 પણ હું એકલો જાતે તમારી જવાબદારી, તમારી સમસ્યા તથા તમારા ઝઘડાનું નિરાકરણ શી રીતે કરી શકું?  13 માટે તમે પોતપોતાના કુળોમાંથી જ્ઞાની, બુદ્ધિમાન અને અનુભવી માણસોને પસંદ કરો. હું તેઓને તમારા અધિકારીઓ ઠરાવીશ.”  14 પછી તમે મને ઉત્તર આપ્યો હતો અને કહ્યું હતું કે, જે વાત તેં કહી છે તે પ્રમાણે કરવું તે સારું છે.  15 “તેથી તમારાં કુળોમાંના આગેવાનો જેઓ બુદ્ધિમાન અને અનુભવી પુરુષો હતા તેઓને લઈને મેં તમારા અધિકારીઓ ઠરાવ્યા. એટલે તમારાં કુળો પ્રમાણે હજાર-હજારના આગેવાનો તથા સો-સોના આગેવાનો, પચાસ-પચાસના આગેવાનો દસ-દસના આગેવાનો તથા અમલદારો ઠરાવ્યા.  16 અને તે સમયે મેં તમારા ન્યાયીધીશોને એવી આજ્ઞા કરી હતી કે, તમારા ભાઈઓ વચ્ચેની તકરાર તમારે સાંભળવી. અને ભાઈ ભાઈની વચ્ચે તથા ભાઈ અને તેની સાથેના પરદેશી વચ્ચે તમારે નિષ્પક્ષ ન્યાય કરવો. 
 17 ન્યાય કરતી વખતે તમારે આંખની શરમ રાખવી નહિ; નાના તથા મોટા સૌનું સરખી રીતે સાંભળવું. માણસનું મોં જોઈને તમારે બીવું નહિ, કેમ કે ન્યાય કરવો એ ઈશ્વરનું કામ છે. જો કોઈ મુકદમો તમને અઘરો લાગે તો તે તમારે મારી પાસે લાવવો એટલે તે હું સંભાળીશ.  18 અને તમારે શું કરવું તે સર્વ વિષે મેં તમને તે સમયે આજ્ઞા આપી હતી. 
કાદેશ-બાર્નેઆથી જાસુસો મોકલ્યા 
ગણ. 13:1-33 
 19 અને આપણે હોરેબ પર્વત છોડીને જે વિશાળ અને ભયંકર અરણ્ય તમે જોયું તે અરણ્ય, ઈશ્વર આપણા યહોવાહે આપેલી આજ્ઞા પ્રમાણે અમોરીઓના પર્વતીય પ્રદેશને રસ્તે ચાલતાં આપણે ઓળગ્યું. અને આપણે કાદેશ બાર્નેઆ આવ્યા. 
 20 ત્યારે મેં તમને કહ્યું કે, “અમોરીઓનો જે પહાડી પ્રદેશ ઈશ્વર આપણા યહોવાહે આપણને આપવાનું વચન આપ્યું હતું, તેમાં તમે આવી પહોંચ્યા છો.  21 જુઓ, ઈશ્વર તમારા યહોવાહે તે દેશ તમારી આગળ મૂક્યો છે; ઈશ્વર તમારા પિતૃઓના યહોવાહે તમને કહ્યું તે પ્રમાણે આગળ વધીને તેનો કબજો લો. બીશો નહિ અને ગભરાશો નહિ.” 
 22 અને તમે સર્વએ મારી પાસે આવીને કહ્યું કે, “આપણે માણસો મોકલીએ, એ માટે કે તેઓ આપણે વાસ્તે દેશની બાતમી કાઢે અને આપણે કયે રસ્તે આગળ જવું અને કયાં નગરો આપણા રસ્તામાં આવશે તે વિષે તેઓ પાછા આવીને આપણને ખબર આપે.”  23 અને એ સૂચના મને સારી લાગી; તેથી મેં દરેક કુળમાંથી એકેક માણસ એટલે તમારામાંથી બાર માણસો પસંદ કર્યા.  24 અને તેઓ પાછા ફરીને પર્વત પર ચઢ્યા અને એશ્કોલની ખીણમાં જઈને તેની જાસૂસી કરી.  25 અને તેઓ તે દેશનાં ફળ પોતાની સાથે લઈને આપણી પાસે આવ્યા. અને તેઓ એવી ખબર લાવ્યા કે, જે ભૂમિ આપણા ઈશ્વર યહોવાહ આપણને આપવાના છે તે ભૂમિ સારી છે. 
 26 “પણ તમે ત્યાં જવા નહિ ચાહતા ઈશ્વર તમારા યહોવાહની આજ્ઞાનો અનાદર કર્યો.  27 અને તમે લોકોએ તમારા તંબુમાં બબડાટ કરીને કહ્યું કે, ‘યહોવાહ આપણને ધિક્કારે છે, તેથી જ તેમણે આપણને મિસરમાંથી બહાર લાવીને અમોરીઓના હાથમાં સોંપી દીધા છે જેથી તેઓ આપણા સૌનો નાશ કરે.  28 હવે આગળ અમે કયાં જઈએ? “તે લોકો આપણા કરતાં કદમાં મોટા અને શક્તિશાળી છે; તેઓનાં નગરો મોટાં અને તેના કોટ ગગન જેટલા ઊંચા છે; અને વળી ત્યાં અનાકપુત્રો પણ અમારા જોવામાં આવ્યા છે. એવું કહીને અમારા ભાઈઓએ અમને ભયભીત કરી નાખ્યા છે.” 
 29 ત્યારે મેં તમને કહ્યું કે, “ડરો નહિ અને તેઓથી બી ન જાઓ.  30 તમારા ઈશ્વર યહોવાહ તમારી આગળ જશે અને તમે મિસરમાં હતા ત્યારે તમારા માટે જે પરાક્રમી કૃત્યો કર્યા હતા તેમ તે તમારા માટે લડશે.  31 અરણ્યમાં પણ તમે જોયું તેમ જ આ જગ્યાએ આવ્યા ત્યાં સુધી જે માર્ગે તમે ગયા ત્યાં જેમ પિતા પોતાના દીકરાને ઊંચકી લે તેમ ઈશ્વર તમારા યહોવાહે તમને ઊંચકી લીધા છે.” 
 32 આ બધી બાબતોમાં પણ તમે તમારા ઈશ્વર ફક્ત યહોવાહ પર વિશ્વાસ કર્યો નહિ,  33 રસ્તે તમારા માટે તંબુ બાંધવાની જગ્યા શોધવા, કયા માર્ગે તમારે જવું તે બતાવવાને યહોવાહ રાત્રે અગ્નિરૂપે અને દિવસે મેઘરૂપે તમારી આગળ ચાલતા હતા. 
યહોવાહ ઇઝરાયલને શિક્ષા કરે છે 
ગણ. 14:20-45 
 34 યહોવાહ તમારો અવાજ સાંભળીને કોપાયમાન થયા; તેમણે સમ ખાઈને કહ્યું કે,  35 “જે સારો દેશ તમારા પૂર્વજોને આપવાને મેં સમ ખાધા હતા, તે આ ખરાબ પેઢીના માણસોમાંથી એક પણ જોશે નહિ.  36 ફક્ત યફૂન્નેનો દીકરો કાલેબ તે દેશ જોશે. જે ભૂમિમાં તે ફર્યો છે તે હું તેને તથા તેના સંતાનોને આપીશ, કેમ કે તે સંપૂર્ણપણે યહોવાહને અનુસર્યો છે.” 
 37 વળી તમારા લીધે યહોવાહે મારા પર પણ ગુસ્સે થઈને કહ્યું કે, “તું પણ તેમાં પ્રવેશ કરશે નહિ;  38 નૂનનો દીકરો યહોશુઆ જે તારી આગળ તારા ચાકર તરીકે ઊભો છે તે તેમાં પ્રવેશ કરશે; તું તેને હિંમત આપ, કેમ કે તે ઇઝરાયલને તેનો વારસો અપાવશે. 
 39 વળી તમારાં બાળકો જેના વિષે તમે કહ્યું કે, તેઓ ભક્ષ થઈ જશે, જેઓને આજે સારા અને ખરાબની સમજ નથી તેઓ તેમાં પ્રવેશ કરશે. તેઓને હું તે આપીશ અને તેઓ તેનું વતન પામશે.  40 પણ તમે પાછા ફરો અને અરણ્યમાં લાલ સમુદ્રના માર્ગે થઈને ચાલો.” 
 41 ત્યારે તમે મને જવાબ આપ્યો કે, “અમે યહોવાહની વિરુદ્ધ પાપ કર્યું છે, અમે ઉપર ચઢીને આપણા ઈશ્વર યહોવાહે આપણને આપેલી બધી આજ્ઞા પ્રમાણે યુદ્ધ કરીશું.” તમારામાંનો દરેક માણસ પોતપોતાનાં યુદ્ધશસ્ત્ર ધારણ કરીને પર્વતીય પ્રદેશ ઉપર હુમલો કરવા જવાને તૈયાર થઈ ગયો હતો.  42 યહોવાહે મને કહ્યું, “તેઓને કહે કે, ‘હુમલો કરશો નહિ, તેમ યુદ્ધ પણ કરશો નહિ, રખેને તમે તમારા શત્રુઓથી પરાજિત થાઓ, કેમ કે હું તમારી સાથે નથી.” 
 43 એમ મેં તમને કહ્યું, પણ તમે સાંભળ્યું નહિ. તમે યહોવાહની આજ્ઞાની વિરુદ્ધ બળવો કર્યો; તમે આવેશમાં આવીને પર્વતીય પ્રદેશ ઉપર હુમલો કર્યો.  44 પહાડી પ્રદેશમાં રહેતા અમોરીઓ તમારી વિરુદ્ધ બહાર નીકળી આવ્યા અને મધમાખીઓની જેમ તમારી પાછળ લાગ્યા, સેઈરમાં છેક હોર્મા સુધી તમને મારીને હાર આપી. 
 45 તમે પાછા ફરીને યહોવાહની આગળ રડ્યા; પણ યહોવાહે તમારો અવાજ સાંભળ્યો નહિ, તમારી દરકાર કરી નહિ.  46 આથી ઘણાં દિવસો તમે કાદેશમાં રહ્યા, એટલે કે બધા દિવસો તમે ત્યાં રહ્યા.