૪૭
 ૧ હે બાબિલની કુંવારી દીકરી, તું નીચે આવીને ધૂળમાં બેસ; 
હે ખાલદીઓની દીકરી, રાજ્યાસન વિના જમીન પર બેસ. 
તું હવે પછી ઉમદા અને કોમળ કહેવાશે નહિ. 
 ૨ ઘંટી લઈને લોટ દળ; તારો બુરખો ઉતાર, 
તારી સુરવાલ ઊંચી કર, પગ ઉઘાડા કર, નદીઓ ઓળંગીને જા. 
 ૩ તારી કાયા ઉઘાડી થશે, હા, તારી લાજ પણ જશે: 
હું વેર લઈશ અને કોઈને છોડીશ નહિ. 
 ૪ આપણો ઉદ્ધાર કરનાર, જેમનું નામ સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના પવિત્ર ઈશ્વર છે. 
 ૫ હે ખાલદીઓની દીકરી, મૌન રહીને બેસ અને અંધારામાં જા; 
કેમ કે હવે પછી તું રાજ્યોની રાણી કહેવાઈશ નહિ. 
 ૬ હું મારા લોકો ઉપર કોપાયમાન થયો; મેં પોતાના વારસાને ભ્રષ્ટ કર્યો 
અને તેઓને તારા હાથમાં સોંપ્યા, પરંતુ તેઁ તેઓના પ્રત્યે દયા રાખી નહિ; 
તેઁ વૃદ્ધો ઉપર તારી અતિ ભારે ઝૂંસરી મૂકી. 
 ૭ તેં કહ્યું, “હું સર્વકાળ સુધી રાણી તરીકે શાસન કરીશ.” 
તેં કદી એ વાત ધ્યાનમાં લીધી નહિ અને તેનું પરિણામ શું આવશે એ લક્ષમાં લીધું નહિ. 
 ૮ તેથી હવે આ સાંભળ, હે એશઆરામમાં નિશ્ચિંત થઈને બેસી રહેનારી, 
તું તારા હૃદયમાં કહે છે, “હું અસ્તિત્વમાં છું અને મારા જેવું બીજું કોઈ નથી; 
હું વિધવા તરીકે ક્યારેય બેસીશ નહિ, કે કદી બાળકો ગુમાવવાનો અનુભવ કરીશ નહિ.” 
 ૯ પરંતુ આ બન્ને વિપત્તિઓ તારી ઉપર એક જ દિવસે એક જ ક્ષણે આવશે 
એટલે કે બાળકો ગુમાવવાં અને વિધવાવસ્થા; આ સંપૂર્ણ વિપત્તિઓ એક જ દિવસે તારા પર આવશે. 
પુષ્કળ જાદુ અને જંતરમંતર તથા તાવીજ હોવા છતાં તે તારા પર આવશે. 
 ૧૦ તેં તારી દુષ્ટતા પર ભરોસો રાખ્યો છે; તેં કહ્યું કે, “મને કોઈ જોનાર નથી;” 
તારી બુદ્ધિ અને તારું ડહાપણ તમને ગેરમાર્ગે દોરી જાય છે, 
પરંતુ તું તારા હૃદયમાં કહે છે, “હજી હું અસ્તિત્વ ધરાવું છું અને મારા જેવું બીજું કોઈ નથી.” 
 ૧૧ તારા પર આફત આવશે; તેને તું જંતરમંતરથી ટાળી શકીશ નહિ. 
વિનાશ તારા પર આવી પડશે; તે સંકટને તમે દૂર કરી શકશો નહિ. 
તમને ખબર પડે તે અગાઉ જ આપત્તિ તારા પર ત્રાટકશે. 
 ૧૨ તેં બાળપણથી વિશ્વાસુપણે જે પઠન કર્યું છે 
તે તારા મંત્રો અને પુષ્કળ જાદુને ચાલુ રાખજે; 
કદાચ તું સફળ થશે, કદાચ તું વિનાશને ભય પમાડી શકે. 
 ૧૩ અધિક સલાહોથી તું કાયર થયેલી છે; તે માણસોને ઊભા થવા દો 
અને તને બચાવવા દો - જેઓ નક્ષત્રો અને તારાઓ પર નજર રાખે છે, 
જેઓ નવો ચંદ્ર સૂચવે છે - તારા પર જે આવનાર છે તેમાંથી તારો બચાવ થાય એવું તું માનતી હશે. 
 ૧૪ જુઓ, તેઓ ખૂપરા જેવા થશે, અગ્નિ તેઓને બાળી નાખશે; 
તેઓ અગ્નિની જ્વાળાઓથી પોતાને બચાવી શકશે નહિ; 
ત્યાં તેઓને તાપવા લાયક અંગારા કે પાસે બેસવા લાયક અગ્નિ થશે નહિ. 
 ૧૫ જે લોકોની સાથે તેં તારી યુવાનીના સમયથી વેપાર કર્યો છે, તેઓ તારા માટે પરિશ્રમ સિવાય બીજું કશું જ નહિ હોય; 
તેઓ દરેક પોતપોતાના માર્ગે ભટકતા રહેશે; તને બચાવનાર કોઈ હશે નહિ.