૨૯
 ૧ અયૂબે પોતાના દ્ષ્ટાંતના વધારામાં કહ્યું કે, 
 ૨ ''અરે, જો આગળના વખતમાં હું હતો તેવો, 
અને જે વખતે ઈશ્વર મારું ધ્યાન રાખતા હતા તેવો હું હમણાં હોત તો કેવું સારું! 
 ૩ ત્યારે તેમનો દીવો મારા પર ઝળહળતો હતો 
અને તેમના પ્રકાશથી હું અંધકારમાં ચાલી શકતો હતો. 
 ૪ જેવો હું મારી જુવાનીમાં હતો તેવો હું હોત તો કેવું સારું! 
ત્યારે તો મારા તંબુ પર ઈશ્વરની કૃપાદ્રષ્ટિ હતી, 
 ૫ તે વખતે સર્વશક્તિમાન ઈશ્વર મારી સાથે હતા 
અને મારાં સંતાનો મારી આસપાસ હતાં. 
 ૬ તે વખતે મારા પગ માખણથી ધોવાતા હતા, 
અને ખડકો મારે સારુ તેલની નદીઓ વહેવડાવતા હતા! 
 ૭ ત્યારે તો હું નગરના દરવાજે જતો હતો, 
ત્યારે જાહેર સભાના સ્થળમાં હું મારું આસન તૈયાર કરાવતો હતો. 
 ૮ યુવાનો મને જોઈને સન્માન ખાતર ખસી જતા, 
અને વૃદ્ધો ઊભા થઈને મને માન આપતા હતા. 
 ૯ સરદારો પણ મને જોઈને બોલવાનું બંધ કરી દેતા 
અને મોં પર તેઓના હાથ મૂકતા. 
 ૧૦ અમીરો બોલતા બંધ થઈ જતા, 
તેઓની જીભ તેઓના તાળવે ચોંટી જતી. 
 ૧૧ કેમ કે લોકો મારું સાંભળતા અને તેઓ મને ધન્યવાદ આપતા. 
અને જેઓ મને જોતા તેઓ સાક્ષી આપતા 
 ૧૨ કેમ કે રડતાં ગરીબોને 
તથા તદ્દન નિરાશ્રિત અનાથો જેને મદદ કરનાર કોઈ ન હોય તેઓને પણ હું દુઃખમાંથી મુક્ત કરતો, 
 ૧૩ જેઓ નાશ પામવાની અણી પર હતા તેઓ મને આશીર્વાદ આપતા; 
વિધવાઓના હ્રદયને હું હર્ષનાં ગીતો ગવડાવતો. 
 ૧૪ મેં ન્યાયીપણાંને ધારણ કર્યું અને તેણે મને ધારણ કર્યો, 
મારો ન્યાય મારા માટે જામા તથા પાઘડી સમાન હતો. 
 ૧૫ હું અંધજનોની આંખ સમાન હતો; 
હું અપંગ માટે પગ સમાન હતો. 
 ૧૬ ગરીબો સાથે હું તેઓના પિતાની જેમ વર્તતો. 
જેઓને હું જાણતો ન હતો તેઓની અગત્ય જાણીને હું તેમને મદદ કરતો. 
 ૧૭ હું દુષ્ટ લોકોના જડબાં તોડી નાખતો; 
હું તેઓના હાથમાંથી શિકાર ઝૂંટવી લેતો. 
 ૧૮ ત્યારે હું કહેતો કે, હું મારા પરિવાર સાથે મરણ પામીશ. 
મારા દિવસો રેતીની જેમ અસંખ્ય થશે. 
 ૧૯ મારાં મૂળિયાં પાણી સુધી ફેલાયાં છે 
અને મારી ડાળીઓ ઝાકળથી ભીની થઈ છે. 
 ૨૦ મારું ગૌરવ મારામાં તાજું છે. 
અને મારું ધનુષ્ય મારા હાથમાં નવું થતું જાય છે. 
 ૨૧ લોકો મારા બોધને ધ્યાનથી સાંભળતા હતા, 
તેઓ શાંતિ પૂર્વક મારી સલાહની રાહ જોતા હતા. 
 ૨૨ મારા બોલી રહ્યા પછી કોઈ દલીલ કરતા ન હતા. 
કેમ કે મારી સલાહ વરસાદની જેમ ટપક્યા કરતી. 
 ૨૩ તેઓ વરસાદની જેમ મારી રાહ જોતા હતા; 
અને પાછલા વરસાદને માટે માણસ મુખ ખોલે તેમ તેઓ મારા માટે આતુર રહેતા. 
 ૨૪ જયારે તેઓ ઉદાસ થઈ ગયા હોય ત્યારે હું તેમની સામે સ્મિત આપતો; 
મારા આનંદી ચહેરાનું તેજ તેઓ ઉતારી પાડતા નહિ. 
 ૨૫ હતાશ થયેલા માણસને દિલાસો આપનાર તરીકે હું તેઓનો માર્ગ પસંદ કરતો; 
હું સરદાર તરીકે બિરાજતો, 
અને સૈન્યમાં રાજાની જેમ રહેતો.