૩૩
 ૧ હવે, હે અયૂબ, હું જે કહું તે કૃપા કરીને સાંભળ; 
મારા સર્વ શબ્દો પર લક્ષ આપ. 
 ૨ જો, હવે મેં મારું મુખ ખોલ્યું છે; 
મારા મુખમાં મારી જીભ બોલવાની તૈયારીમાં છે. 
 ૩ મારા શબ્દો મારું અંતઃકરણ પ્રગટ કરશે; 
, મારા હોઠો જાણે છે કે જે સત્ય છે તે જ હું બોલીશ. 
 ૪ ઈશ્વરના આત્માએ મને ઉત્પન્ન કર્યો છે; 
સર્વશક્તિમાનનો શ્વાસ મને જીવન આપે છે. 
 ૫ જો તારાથી શક્ય હોય, તો તું મને જવાબ આપ; 
ઊભો થઈ જા અને તારી દલીલો મારી સામે રજૂ કર. 
 ૬ જુઓ, આપણે બન્ને ઈશ્વરની નજરમાં સમાન છીએ; 
મને પણ માટીમાંથી જ ઉત્પન્ન કરવામાં આવ્યો છે. 
 ૭ જો, તારે મારાથી ડરવાની જરૂર નથી, 
અથવા મારું દબાણ તને ભારે પડશે નહિ. 
 ૮ નિશ્ચે તેં મારા સંભાળતાં કહ્યું છે; 
, મેં તને એવા શબ્દો કહેતા સાંભળ્યો છે, 
 ૯ 'હું શુદ્ધ અને અપરાધ વિનાનો છું; 
હું નિર્દોષ છું અને મારામાં કોઈ પાપ નથી. 
 ૧૦ જો, ઈશ્વર મારા પર હુમલો કરવાની તક શોધે છે; 
તેઓ મને તેમના એક દુશ્મન સમાન ગણે છે. 
 ૧૧ તે મારા પગોને હેડમાં મૂકે છે; 
તે મારા સર્વ માર્ગોની સંભાળ રાખે છે.' 
 ૧૨ જો, હું તને જવાબ આપીશ કે: 
ઈશ્વર માણસ કરતાં મહાન છે માટે તારે તે કહેવું યોગ્ય નથી. 
 ૧૩ “તું શા માટે તેમની સાથે બાથ ભીડે છે?” 
કારણ કે તેઓ પોતાનાં કાર્યો વિષે મહિતી આપતા નથી. 
 ૧૪ કેમ કે ઈશ્વર એક વાર બોલે છે 
હા, બે વાર બોલે છે, છતાં પણ માણસ તે બાબત પર ધ્યાન આપતો નથી. 
 ૧૫ જ્યારે માણસો ગાઢ નિદ્રામાં હોય કે, 
પથારી પર ઊંઘતા હોય, 
સ્વપ્નમાં અથવા રાતના સંદર્શનમાં હોય ત્યારે, 
 ૧૬ ઈશ્વર માણસોના કાન ઉઘાડે છે, 
અને તેઓને ચેતવણીથી ભયભીત કરે છે, 
 ૧૭ અને આ મુજબ માણસને તેના પાપી ધ્યેયોથી અટકાવે, 
અને તેને અહંકારથી દૂર કરે. 
 ૧૮ ઈશ્વર લોકોના જીવનોને ખાડામાં પડતા અટકાવે છે, 
અને તેઓનાં જીવનને નાશ પામતા બચાવે છે. 
 ૧૯ તેમ છતાં માણસને પથારીમાં થતા દુઃખથી, 
અને તેનાં હાડકામાં વેદના આપીને તેમને સમજાવે છે. 
 ૨૦ તેથી તેનું જીવન ભોજનથી, 
અને તેનો આત્મા સ્વાદિષ્ટ ભોજનથી પણ કંટાળી જાય છે. 
 ૨૧ તેનું શરીર સુકાઈ જાય છે અને અદ્રશ્ય થઈ જાય છે; 
તેનાં હાડકાં દેખાતાં ન હતાં તે હવે દેખાઈ આવે છે. 
 ૨૨ ખરેખર, તેનો આત્મા કબરની પાસે છે, 
અને તેનું જીવન નાશ કરનારાઓની નજીક છે. 
 ૨૩ માણસને શું કરવું સારું છે તે બતાવવાને, 
હજારો દૂતોમાંથી એક દૂત, 
મધ્યસ્થી તરીકે તેની સાથે હોય, 
 ૨૪ અને તે દૂત તેેના પર દયાળુ થઈને ઈશ્વરને કહે છે કે, 
'આ માણસને કબરમાં જતાં અટકાવો; 
કારણ કે, તેના બચાવ કરવાની રકમ મને મળી છે,' 
 ૨૫ ત્યારબાદ તેનું શરીર નાના બાળક કરતાં શુદ્ધ થઈ જશે; 
અને તે પાછો તેની યુવાનીના દિવસો પ્રાપ્ત કરશે. 
 ૨૬ તે ઈશ્વરને પ્રાર્થના કરશે અને ઈશ્વર તેને કૃપા આપે છે, 
અને તે ઈશ્વરનું મુખ જોઈને આનંદ કરે છે. 
અને ઈશ્વર તે માણસને તેની પ્રામાણિક્તા પાછી આપે છે. 
 ૨૭ ત્યારે તે માણસ અન્ય લોકોની સમક્ષ સ્તુતિ કરશે અને કહેશે કે, 
મેં પાપ કર્યું હતું અને જે સત્ય હતું તેને વિપરીત કર્યું હતું, 
પણ મારા પાપ પ્રમાણે મને સજા કરવામાં આવી નહિ. 
 ૨૮ 'ઈશ્વરે મને મોતના મુખમાંથી બચાવ્યો છે; 
અને હવે હું ફરીથી જીવનનો આનંદ માણી શકીશ.' 
 ૨૯ જુઓ, ઈશ્વર આ બધી બાબતો માણસો સાથે કરે છે, 
બે વાર, હા, ત્રણ વાર પણ તે એમ જ વર્તે છે, 
 ૩૦ તેઓ તેનું જીવન કબરમાંથી પાછું લાવે છે, 
જેથી તેને જીવનનો પ્રકાશ પ્રાપ્ત થાય. 
 ૩૧ હે અયૂબ, હું જે કહું તે ધ્યાનથી સાંભળ; 
તું શાંત રહે અને હું બોલીશ. 
 ૩૨ પણ જો તારે કંઈ કહેવું હોય, તો મને જવાબ આપ; 
બોલ, કારણ કે, હું તને નિર્દોષ જાહેર કરવા માગું છું. 
 ૩૩ જો, નહિતો મારું સાંભળ; 
શાંત રહે અને હું તને જ્ઞાન શીખવીશ.”