૪૦
 ૧ યહોવાહે અયૂબને ઉત્તર આપતાં કહ્યું કે, 
 ૨ “જે કોઈ દલીલ કરવાની ઇચ્છા રાખે તે શું સર્વશક્તિમાનને સુધારી શકે? 
જે ઈશ્વર સાથે દલીલ કરે છે તે જવાબ આપે.” 
 ૩ ત્યારે અયૂબે યહોવાહને જવાબ આપતાં કહ્યું કે, 
 ૪ “હું અર્થહીન છું; હું તમને કેવી રીતે જવાબ આપી શકું? 
હું મારો હાથ મારા મોં પર રાખું છું. 
 ૫ હું એક વખત બોલ્યો, પણ, હું ફરીથી બોલીશ નહિ; 
હા, હું બે વખત બોલ્યો, પણ હવે હું વધારે કંઈ બોલીશ નહિ.” 
 ૬ પછી યહોવાહે વંટોળિયા મારફતે અયૂબને જવાબ આપ્યો કે, 
 ૭ “હવે બળવાનની માફક જવાબ આપ, 
હું તને પ્રશ્ન પૂછીશ અને તારે તેનો જવાબ આપવાનો છે. 
 ૮ શું તું માને છે કે હું અન્યાયી છું? 
તું ન્યાયી સાબિત થાય માટે શું તું મને દોષિત સાબિત કરીશ? 
 ૯ તને ઈશ્વરના જેવા હાથ છે? 
શું તું ગર્જના કરી શકે છે? 
 ૧૦ તો હવે તું ગર્વ અને મહિમા ધારણ કર; 
તો માન અને પ્રતિષ્ઠાને વસ્ત્રોની જેમ પરિધાન કર. 
 ૧૧ તારા કોપનો ઊભરો ગર્વિષ્ઠો પર રેડી દે; 
તેના પર દ્રષ્ટિ કરીને તેને નીચો પાડ. 
 ૧૨ જે કોઈ અહંકારી હોય તેને નમ્ર બનાવ; 
દુષ્ટો જ્યાં ઉપસ્થિત હોય તે સ્થાનને કચડી નાખ. 
 ૧૩ તે સર્વ લોકોને એકસાથે ધૂળમાં દાટી દે; 
તેઓના મુખને કબરોમાં ઢાંકી દે. 
 ૧૪ પછી હું પણ તને માન્ય કરીશ કે, 
તું તારા પોતાના જમણા હાથથી પોતાને બચાવી શકે છે. 
 ૧૫ ગેંડાની સામે જો. મેં તેને અને તને ઉત્પન્ન કર્યા છે, 
તે બળદની જેમ ઘાસ ખાય છે. 
 ૧૬ હવે જો, તેનું બળ તેની કમરમાં છે; 
તેના પેટમાંના સ્નાયુઓમાં સામર્થ્ય છે. 
 ૧૭ એની પૂંછડી દેવદાર વૃક્ષની જેમ હાલે છે; 
એની પગની જાંઘના સ્નાયુઓ કેવા મજબૂત છે. 
 ૧૮ તેનાં હાડકાં કાંસાની નળી જેવાં છે; 
તેના પગ લોખંડના સળિયા જેવા મજબૂત છે. 
 ૧૯ પ્રાણીઓના સર્જનમાં ગેંડો શ્રેષ્ઠ છે. 
માત્ર ઈશ્વર જ કે જેમણે તેનું સર્જન કર્યું છે તે જ તેને હરાવી શકે છે. 
 ૨૦ જંગલનાં બીજાં પ્રાણીઓ જ્યાં વસે છે; 
ત્યાં પર્વતો પરથી તેને ઘાસ મળી રહે છે. 
 ૨૧ તે કાદવ કીચડવાળી જગ્યામાં કમળના છોડ નીચે પડી રહે છે. 
તે બરુઓની વચ્ચે ભીનાશવાળી જગ્યાઓમાં સંતાય છે. 
 ૨૨ કમળવૃક્ષો તેને પોતાની છાયાથી ઢાંકે છે; 
તે નદી પાસે ઊગતા વેલા નીચે રહે છે. 
 ૨૩ જો નદીમાં પૂર આવે, તોપણ તે ધ્રૂજતો નથી; 
જો યર્દનમાં પૂર ચઢીને તેના મુખ સુધી પાણી આવે તો પણ તે ગભરાતો નથી. 
 ૨૪ શું કોઈ તેને આંકડીમાં ભરાવીને પકડી શકે, 
અથવા ફાંદા દ્વારા તેનું નાક વીંધી શકે છે?