૨
 ૧ વિદેશીઓ શા માટે તોફાન કરે છે? 
અને લોકો શા માટે વ્યર્થ યોજનાઓ કરે છે? 
 ૨ યહોવાહ તથા તેમના અભિષિક્તની વિરુદ્ધ 
પૃથ્વીના રાજાઓ સજ્જ થાય છે 
અને હાકેમો અંદરોઅંદર મસલત કરીને કહે છે, 
 ૩ “આવો આપણે તેઓનાં બંધન તોડી પાડીએ; 
અને તેઓની ગુલામીમાંથી આપણે મુક્ત થઈએ.” 
 ૪ આકાશમાં જે બિરાજમાન છે તે હાસ્ય કરશે; 
પ્રભુ તેઓને તુચ્છ ગણશે. 
 ૫ પછી તે ક્રોધમાં તેઓની સાથે બોલશે 
અને પોતાના કોપથી તે તેઓને ત્રાસ પમાડીને કહેશે, 
 ૬ “મારા પવિત્ર સિયોન પર્વત પર મેં 
મારા રાજાને અભિષિક્ત કર્યો છે.” 
 ૭ હું તો એ યહોવાહના નિયમો જાહેર કરીશ. 
તેમણે મને કહ્યું, “તું મારો પુત્ર છે! 
આજે મેં તને જન્મ આપ્યો છે. 
 ૮ તું મારી પાસે માગ, એટલે હું તને વારસા તરીકે રાષ્ટ્રો 
અને પૃથ્વીની ચારે દિશાનું વતન આપીશ. 
 ૯ તું લોઢાના દંડથી તેઓને તોડી પાડશે; 
તું તેઓને કુંભારના વાસણની જેમ અફાળીને ટુકડેટુકડા કરશે.” 
 ૧૦ તેથી હવે, રાજાઓ, તમે સમજો; 
ઓ પૃથ્વીના અધિકારીઓ, તમે શિખામણ લો. 
 ૧૧ ભયથી યહોવાહની સેવા કરો 
અને કંપીને હર્ષ પામો. 
 ૧૨ તેમના પુત્રને ચુંબન કરો, જેથી તે તમારા પર ગુસ્સે ન થાય અને તમે નાશ ન પામો 
કેમ કે તેમનો કોપ જલદીથી ભભૂકી ઊઠશે 
જેઓ તેમના પર ભરોસો રાખે છે તે સર્વ આશીર્વાદિત છે.