૪
 ૧ હે મને ન્યાયી ઠરાવનાર મારા ઈશ્વર, જ્યારે હું તમને વિનંતિ કરું, ત્યારે તમે મને ઉત્તર આપજો; 
સંકટને સમયે તમે મને છોડાવજો. 
 ૨ હે મનુષ્યો, તમે ક્યાં સુધી મારા ગૌરવનું અપમાન કરશો? 
તમે ક્યાં સુધી વ્યર્થતા ઇચ્છશો અને જૂઠાણું ચલાવશો? 
સેલાહ 
  ૩ પણ જાણો કે જે પવિત્ર છે તેને યહોવાહે પોતાને માટે પસંદ કર્યો છે. 
હું જ્યારે યહોવાહને વિનંતિ કરું, ત્યારે તે મારું સાંભળશે. 
 ૪ તેમનાથી ભયભીત થાઓ, પણ પાપ ન કરો! 
તમારા બિછાના પર પોતાના હૃદયમાં મનન કરો અને શાંત રહો. 
સેલાહ 
  ૫ ન્યાયીપણાના અર્પણોને અર્પિત કરો 
અને તમારો ભરોસો યહોવાહ પર રાખો. 
 ૬ ઘણા કહે છે, “કોણ અમને કંઈક સારું બતાવશે?” 
યહોવાહ, તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો. 
 ૭ લોકોનું અનાજ તથા નવો દ્રાક્ષારસ વધવાથી તેઓને આનંદ થાય છે, 
તે કરતાં વધારે આનંદ તમે મારા હૃદયમાં મૂક્યો છે. 
 ૮ હું શાંતિથી સૂઈ જઈશ, તેમ જ ઊંઘી પણ જઈશ, 
કેમ કે, હે યહોવાહ, હું એકલો હોઉં તોપણ તમે મને સલામત અને સુરક્ષિત રાખો છો.