૨૪
 ૧ પૃથ્વી તથા તેનું સર્વસ્વ યહોવાહનાં છે, 
જગત અને તેમાં વસનારાં પણ તેમનાં છે. 
 ૨ કેમ કે તેમણે સમુદ્રો પર તેનો પાયો નાખ્યો છે 
અને નદીઓ પર તેને સ્થાપન કરી છે. 
 ૩ યહોવાહના પર્વત પર કોણ ચઢી શકશે? 
તેમના પવિત્રસ્થાનમાં કોણ ઊભો રહી શકશે? 
 ૪ જેના હાથ શુદ્ધ છે અને જેનું હૃદય પવિત્ર છે; 
જેણે પોતાનું મન અસત્યમાં લગાડ્યું નથી 
અને જે જૂઠા સમ ખાતો નથી તે જ ઊભો રહી શકશે. 
 ૫ તે યહોવાહનો આશીર્વાદ પ્રાપ્ત કરશે 
અને પોતાના ઉદ્ધાર કરનાર ઈશ્વરથી ન્યાયીપણું પામશે. 
 ૬ હે યાકૂબના ઈશ્વર, જેઓ તમારું મુખ શોધે છે 
તેઓની પેઢી આ છે. 
સેલાહ 
  ૭ હે પ્રવેશદ્વારો, તમારાં માથા ઊંચાં કરો; 
હે પ્રાચીન પ્રવેશદ્વારો, તમે ઊંચાં થાઓ, 
કે જેથી ગૌરવવાન રાજા અંદર આવશે! 
 ૮ ગૌરવવાન રાજા તે કોણ છે? 
યહોવાહ, જે બળવાન તથા યુદ્ધમાં પરાક્રમી છે, તે જ. 
 ૯ હે પ્રવેશદ્વારો, તમારાં માથાં ઊંચાં કરો; 
હે પ્રાચીન પ્રવેશદ્વારો, તમે પણ ઊંચાં થાઓ, 
કે જેથી ગૌરવવાન રાજા અંદર આવશે! 
 ૧૦ આ ગૌરવવાન રાજા તે કોણ છે? 
યહોવાહ આકાશોના સર્વ સૈન્યોના માલિક એ જ 
ગૌરવવાન રાજા છે. 
સેલાહ