૩૨
 ૧ જેનું ઉલ્લંઘન માફ થયું છે તથા જેનું પાપ ઢંકાઈ ગયું છે, 
તે આશીર્વાદિત છે. 
 ૨ જેને યહોવાહ દોષિત ગણતા નથી અને જેના આત્મામાં કંઈ કપટ નથી, 
તે આશીર્વાદિત છે. 
 ૩ જ્યારે હું છાનો રહ્યો, ત્યારે આખો દિવસ 
છાના રુદનથી મારાં હાડકાં જીર્ણ થયાં. 
 ૪ કેમ કે રાતદિવસ તમારો હાથ મારા પર ભારે હતો. 
જેમ ઉનાળાની ગરમીમાં જળ સુકાઈ જાય છે, તેમ મારી શક્તિ હણાઈ ગઈ હતી. 
સેલાહ
  ૫ મેં મારાં પાપ તમારી સમક્ષ કબૂલ કર્યાં 
અને મારો અન્યાય મેં સંતાડ્યો નથી. 
મેં કહ્યું, “હું મારાં પાપો યહોવાહ સમક્ષ કબૂલ કરીશ.” 
અને તમે મારાં પાપોની ક્ષમા આપી. 
સેલાહ
  ૬ તે માટે જ્યારે તમે મળો ત્યારે તે સમયે દરેક ભક્ત તમારી પ્રાર્થના કરે. 
પછી જ્યારે ઘણા પાણીની રેલ ચઢે, ત્યારે તે તેને પહોંચશે નહિ. 
 ૭ તમે મારી સંતાવાની જગ્યા છો; તમે મને મારા સંકટમાંથી ઉગારશો. 
તમે મારી આસપાસ વિજયનાં ગીતો ગવડાવશો. 
સેલાહ
  ૮ ક્યે માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ. 
મારી નજર હું તારા પર રાખીને તને બોધ આપીશ. 
 ૯ ઘોડા તથા ખચ્ચર જેને કંઈ સમજણ નથી, 
જેને કાબૂમાં રાખવા માટે ચોકડા તથા લગામની જરૂર છે, 
નહિ તો તું જ્યાં લઈ જવા ચાહે ત્યાં તેઓ આવી ન શકે, માટે તેઓના જેવો અણસમજુ ન થા. 
 ૧૦ દુષ્ટોને ઘણી તકલીફો સહન કરવી પડે છે 
પણ જેઓ યહોવાહ પર ભરોસો રાખે છે, તેઓ તો તેમની કૃપાથી ઘેરાશે. 
 ૧૧ હે ન્યાયીઓ, યહોવાહમાં આનંદ કરો તથા હરખાઓ; 
હે શુદ્ધ હૃદયના માણસો, તમે સર્વ હર્ષના પોકાર કરો.