૪૯
 ૧ હે સર્વ લોકો, તમે આ સાંભળો; 
હે વિશ્વાસીઓ, કાન ધરો. 
 ૨ નિમ્ન અને ઉચ્ચ બન્ને, 
શ્રીમંત તથા દરિદ્રી, તમે સર્વ ધ્યાન આપો. 
 ૩ હું મારે મુખે બુદ્ધિ વિષે બોલીશ 
અને મારા હૃદયના વિચારો ડહાપણ વિષે હશે. 
 ૪ હું દ્રષ્ટાંત પર કાન લગાડીશ; 
વીણા પર મારો મર્મ ખોલીશ. 
 ૫ જ્યારે મારી આસપાસ સંકટો આવે 
અને મને શત્રુઓ ઘેરી લે, ત્યારે એવા દુષ્ટોના દિવસોમાં હું શા માટે બીહું? 
 ૬ જેઓ પોતાની સંપત્તિ પર ભરોસો રાખે છે 
અને પોતાના પુષ્કળ દ્રવ્યનું અભિમાન કરે છે. 
 ૭ તેઓમાંનો કોઈ પોતાના ભાઈને કોઈ પણ રીતે બચાવી શકતો નથી 
અથવા તેના બદલામાં ઈશ્વરને ખંડણી આપી શકતો નથી. 
 ૮ કેમ કે તેના પ્રાણની કિંમત મોટી છે 
અને એ વિચાર તેણે સદાને માટે છોડી દેવો જોઈએ. 
 ૯ તે સદાકાળ જીવતો રહે 
કે જેથી તેનું શરીર કબરમાં દફનાવાય નહિ. 
 ૧૦ કેમ કે તે જુએ છે કે બુદ્ધિવંત માણસો મરણ પામે છે; 
મૂર્ખ તથા અસભ્ય જેવા સાથે નાશ પામે છે 
અને પારકાઓને માટે પોતાનું ધન મૂકીને જાય છે. 
 ૧૧ તેઓના અંતરના વિચારો એવા છે કે અમારાં ઘરો સદા રહેશે 
અને અમારાં રહેઠાણ પેઢી દરપેઢી રહેશે; 
તેઓ પોતાની જાગીરોને પોતાનાં નામ આપે છે. 
 ૧૨ પણ માણસ ધનવાન હોવા છતાં, ટકી રહેવાનો નથી; 
તે નાશવંત પશુના જેવો છે. 
 ૧૩ આપમતિયા માણસોનો માર્ગ મૂર્ખ જ છે; 
તેમ છતાં તેઓના પછીના લોકો તેઓનો બોલ પસંદ કરે છે. 
સેલાહ
  ૧૪ તેમને શેઓલમાં લઈ જવાના ટોળાં જેવા ઠરાવવામાં આવશે; 
મૃત્યુ તેઓનો ઘેટાંપાળક થશે; 
યથાર્થીઓ સવારમાં તેમના પર અધિકાર ચલાવશે; 
તેઓનું સૌંદર્ય શેઓલમાં એવું નાશ પામશે કે, 
ત્યાં કોઈ બાકી રહેશે નહિ. 
 ૧૫ પણ ઈશ્વર મારા આત્માને શેઓલના નિયંત્રણમાંથી છોડાવી લેશે; 
તે મારો અંગીકાર કરશે. 
સેલાહ
  ૧૬ જ્યારે કોઈ ધનવાન થાય છે, 
જ્યારે તેના ઘરનો વૈભવ વધી જાય, ત્યારે તું ગભરાઈશ નહિ. 
 ૧૭ કેમ કે જ્યારે તે મૃત્યુ પામે, ત્યારે તે પોતાની સાથે કંઈ લઈ જવાનો નથી; 
તેનો વૈભવ તેની પાછળ જવાનો નથી. 
 ૧૮ જ્યારે તે જીવતો હતો, ત્યારે તે પોતાના આત્માને આશીર્વાદ આપતો હતો 
અને જ્યારે તું તારું પોતાનું ભલું કરે છે, ત્યારે માણસો તારાં વખાણ કરે છે. 
 ૧૯ તે પોતાના પૂર્વજોના પિતૃઓની પાસે ચાલ્યો જાય છે; 
પછી તેઓ જીવનનું અજવાળું ક્યારેય પણ નહિ જુએ. 
 ૨૦ જે માણસ ધનવાન છે, પણ જેને આત્મિક સમજ નથી 
તે નાશવંત પશુ સમાન છે.