૫૩
 ૧ મૂર્ખ પોતાના મનમાં કહે છે કે, “ઈશ્વર છે જ નહિ.” 
તેઓએ ભ્રષ્ટ થઈને ધિક્કારવા લાયક દુષ્ટતા કરી છે; 
ભલું કરનાર કોઈ નથી. 
 ૨ સમજણો કે ઈશ્વરને શોધનાર માણસ છે કે નહિ, 
તે જોવાને ઈશ્વરે આકાશમાંથી 
મનુષ્યજાત પર દ્રષ્ટિ કરી. 
 ૩ તેઓમાંનો દરેક માર્ગભ્રષ્ટ થયો છે; તેઓ સર્વ અશુદ્ધ થયા છે; 
ભલું કરનાર કોઈ રહ્યો નથી, ના, એક પણ નહિ. 
 ૪ શું ખોટું કરનારને કંઈ સમજણ નથી? 
તેઓ રોટલા ખાતા હોય તેમ મારા લોકોને ખાઈ જાય છે 
પણ તેઓ કોઈ ઈશ્વરને પોકારતા નથી. 
 ૫ જ્યાં ભય ન હતો ત્યાં તેઓ ઘણા ભયભીત થયા; 
કેમ કે જે તમારી સામે છાવણી નાખે છે તેઓનાં હાડકાં ઈશ્વરે વિખેરી નાખ્યાં છે; 
તમે તેઓને બદનામ કર્યા છે કેમ કે ઈશ્વરે તેઓને નકાર્યા છે. 
 ૬ સિયોનમાંથી ઇઝરાયલના ઉદ્ધારકર્તા વહેલા આવે! 
જ્યારે ઈશ્વર પોતાના લોકોને બંદીવાસમાંથી છોડાવીને આબાદ કરશે, 
ત્યારે યાકૂબ હરખાશે અને ઇઝરાયલ આનંદિત થશે.