૯૨
 ૧ યહોવાહની સ્તુતિ કરવી 
અને હે પરાત્પર તમારા નામનાં સ્તોત્ર ગાવાં, તે સારું છે. 
 ૨ સવારે તમારી કૃપા 
અને રાત્રે તમારું વિશ્વાસુપણું પ્રગટ કરો. 
 ૩ દશ તારવાળાં વાજાં સાથે 
અને સિતાર સાથે વીણાના મધુર સ્વરથી તેમની સ્તુતિ કરો. 
 ૪ કેમ કે, હે યહોવાહ, તમે તમારા કૃત્યોથી મને આનંદ પમાડ્યો છે. 
તમારા હાથે થયેલાં કામને લીધે હું હર્ષનાદ કરીશ. 
 ૫ હે યહોવાહ, તમારાં કૃત્યો કેવાં મહાન છે! 
તમારા વિચારો બહુ ગહન છે. 
 ૬ અજ્ઞાની માણસ તે જાણતો નથી, 
મૂર્ખ પણ તે સમજી શકતો નથી. 
 ૭ જ્યારે દુષ્ટો ઘાસની જેમ વધે છે 
અને જ્યારે સર્વ અન્યાય કરનારાઓની ચઢતી થાય છે, 
ત્યારે તે તેઓનો સર્વકાલિક નાશ થવાને માટે છે. 
 ૮ પણ, હે યહોવાહ, તમે સર્વકાળ રાજ કરશો. 
 ૯ તેમ છતાં, હે યહોવાહ, તમારા શત્રુઓ તરફ જુઓ; 
સર્વ દુષ્ટો વિખેરાઈ જશે. 
 ૧૦ તમે મારું શિંગ જંગલી બળદના શિંગ જેવું ઊંચું કર્યું છે; 
તાજા તેલથી મારો અભિષેક કરવામાં આવ્યો છે. 
 ૧૧ મારા શત્રુઓને મારી ઇચ્છા પ્રમાણે થયેલ મેં મારી નજરે જોયું છે; 
મારી સામે ઊઠનારા દુષ્કર્મીઓને મારી ઇચ્છા પ્રમાણે ફળ મળ્યું એ મેં મારે કાને સાંભળ્યું છે. 
 ૧૨ ન્યાયી માણસ તાડના વૃક્ષની જેમ ખીલશે; 
તે લબાનોનના દેવદારની જેમ વધશે. 
 ૧૩ જેઓને યહોવાહના ઘરમાં રોપવામાં આવેલા છે; 
તેઓ આપણા ઈશ્વરનાં આંગણામાં ખીલી ઊઠશે. 
 ૧૪ વૃદ્ધાવસ્થામાં પણ તેઓ ફળ આપશે; 
તેઓ તાજા અને લીલા રહેશે. 
 ૧૫ જેથી પ્રગટ થાય કે યહોવાહ યથાર્થ છે. 
તે મારા ખડક છે અને તેમનામાં કંઈ અન્યાય નથી.