૧૧૨
 ૧ યહોવાહની સ્તુતિ કરો. 
જે યહોવાહને માન આપે છે, 
જે તેમની આજ્ઞાઓ પાળવામાં ખુશ થાય છે, તેઓ આશીર્વાદિત છે. 
 ૨ તેના વંશજો પૃથ્વી પર બળવાન થશે; 
ઈશ્વરના લોકો આશીર્વાદ પામશે. 
 ૩ તેઓના ઘરમાં ધનદોલતની વૃદ્ધિ થશે; 
તેઓનું ન્યાયીપણું સદાકાળ ટકશે. 
 ૪ ઈશ્વરના લોકો માટે અંધકારમાં પ્રકાશ પ્રગટ થાય છે; 
તે કૃપાળુ, દયાળુ અને ન્યાયી છે. 
 ૫ જે માણસ કૃપા રાખીને આપે છે, 
તે પોતાના કામમાં પ્રામાણિકપણે ચાલશે. 
 ૬ કેમ કે તે કદી પડશે નહિ; 
ન્યાયી માણસનું સ્મરણ સર્વકાળ રહેશે. 
 ૭ તે ખરાબ સમાચારથી ગભરાતો નથી; 
તેને યહોવાહમાં આત્મવિશ્વાસ અને ભરોસો હોય છે. 
 ૮ તેનું હૃદય શાંત છે, 
તે પોતાના શત્રુઓ પર વિજય મેળવતા સુધી ગભરાશે નહિ. 
 ૯ તેણે ઉદારતાથી ગરીબોને આપ્યું છે; 
તેનું ન્યાયીપણું સર્વકાળ ટકે છે; 
તેને માન સહિત ઊંચો કરવામાં આવશે. 
 ૧૦ દુષ્ટો આ જોઈને ગુસ્સે થશે; 
તેઓ પોતાના દાંત પીસશે અને ઓગળી જશે; 
દુષ્ટોની યોજનાઓ નિષ્ફળ જશે.