૧૪૬
 ૧ યહોવાહની સ્તુતિ કરો. 
હે મારા આત્મા, યહોવાહની સ્તુતિ કર. 
 ૨ મારા જીવન પર્યંત હું યહોવાહની સ્તુતિ કરીશ; 
મારા જીવનના છેલ્લાં શ્વાસ સુધી હું મારા ઈશ્વરનાં સ્તુતિગીતો ગાઈશ. 
 ૩ તમે રાજાઓ કે માણસો પર ભરોસો ન રાખો, 
કારણ કે તેઓની પાસે ઉદ્ધાર નથી. 
 ૪ જ્યારે તેનો પ્રાણ તેને છોડી જાય છે, ત્યારે તેનું શરીર ધૂળમાં પાછું મળી જાય છે; 
તે જ દિવસે તેની બધી યોજનાઓનો અંત આવે છે. 
 ૫ જે માણસને સહાય કરનાર યાકૂબના ઈશ્વર છે, 
જેની આશા તેના ઈશ્વર યહોવાહમાં છે, તે આશીર્વાદિત છે. 
 ૬ યહોવાહે પૃથ્વી તથા આકાશ, 
સમુદ્ર તથા તેમાંના સર્વસ્વનું સર્જન કર્યું છે; 
તે સદા સત્ય પાળનાર છે. 
 ૭ તે પીડિતોનો ન્યાય જાળવી રાખે છે 
અને તે ભૂખ્યાઓને અન્ન પૂરું પાડે છે. 
યહોવાહ કેદીઓને છોડાવે છે. 
 ૮ યહોવાહ દૃષ્ટિહીનોની આંખો ખોલે છે; 
યહોવાહ ભારે બોજથી દબાયેલાઓનો બોજો હલકો કરે છે; 
યહોવાહ ન્યાયી લોકોને પ્રેમ કરે છે. 
 ૯ યહોવાહ દેશમાંના વિદેશીઓનું રક્ષણ કરે છે; 
તે અનાથો તથા વિધવાઓને ઊંચાં કરે છે, 
પણ તે દુષ્ટોનો વિરોધ કરે છે. 
 ૧૦ યહોવાહ સદાકાળ રાજ કરશે, 
હે સિયોન, તમારા ઈશ્વર પેઢી દરપેઢી રાજ કરશે. 
યહોવાહની સ્તુતિ કરો.