2
પ્રભુનો દૂત બોખીમમાં 
 1 ઈશ્વરના દૂતે ગિલ્ગાલથી બોખીમ જઈને કહ્યું, “હું તમને મિસરમાંથી છોડાવીને જે દેશ તમારા પિતૃઓને આપવાને મેં પ્રતિજ્ઞા લીધી હતી તેમાં લાવ્યો છું. મેં કહ્યું હતું કે, ‘હું કદીપણ તમારી સાથેનો મારો કરાર રદ કરીશ નહિ.  2 તમે આ દેશના રહેવાસીઓની સાથે કંઈ પણ સંધિ કરશો નહિ. તેઓની વેદીઓ અવશ્ય તોડી નાખીને તમે મારી વાણી ધ્યાને લીધી નથી. આ તમે શું કર્યું છે? 
 3 હવે હું કહું છું, ‘હું કનાનીઓને તમારી સામેથી દૂર કરીશ, પણ તેઓ તમારી આજુબાજુ કાંટારૂપ અને તેઓના દેવો તમને ફાંદારૂપ થશે.’ ”  4 અને ઈશ્વરના દૂતે ઇઝરાયલના સર્વ લોકોને એ વાતો કહી, ત્યારે તેઓ પોક મૂકીને રડ્યા.  5 અને તેઓએ તે જગ્યાનું નામ બોખીમ પાડ્યું. ત્યાં તેઓએ ઈશ્વરને અર્પણો ચઢાવ્યાં. 
યહોશુઆનું મૃત્યુ 
 6 યહોશુઆએ લોકોને વિદાય કર્યા ત્યારે ઇઝરાયલના સર્વ લોકો પોતાને માટે નિયુક્ત કરાયેલ સ્થળે, પોતપોતાના વારસામાં ગયા.  7 યહોશુઆના જીવનકાળ દરમિયાન અને ત્યારબાદ જે વડીલો તેના કરતાં લાંબુ જીવ્યા હતા, જેઓએ ઇઝરાયલને માટે ઈશ્વરે કરેલાં સર્વ મોટાં કામ જોયા હતાં, તેઓના અસ્તિત્વ સુધી લોકોએ ઈશ્વરની સેવા કરી.  8 નૂનનો દીકરો યહોશુઆ, ઈશ્વરનો સેવક, એકસો દસ વર્ષની ઉંમરે મરણ પામ્યો. 
 9 ગાઆશ પર્વતની ઉત્તરે, એફ્રાઇમના પહાડી પ્રદેશ, તિમ્નાથ-હેરેસમાં, જે ભૂમિ તેને સોંપવામાં આવી હતી તેની સરહદમાં તેઓએ તેને દફનાવ્યો.  10 તેઓની પેઢી પણ તેમના પિતૃઓ સાથે ભળી ગઈ. પછીની બીજી પેઢી ઊભી થઈ તે ઈશ્વરને અથવા તેમણે ઇઝરાયલ માટે કરેલાં કૃત્યો હજી સુધી જાણતી નહોતી. 
ઇઝરાયલીઓનો ધર્મત્યાગ 
 11 ઇઝરાયલી લોકોએ યહોવાહની દ્રષ્ટિમાં જે દુષ્ટ હતું તે કર્યું અને તેઓએ બઆલીમની પૂજા કરી.  12 અને તેઓના પિતૃઓના જે યહોવાહ તેઓને મિસર દેશમાંથી બહાર લાવ્યા હતા, તેમની સાથેનો સંબંધ તોડી નાખ્યો. તેઓ જે લોકો તેઓની આસપાસ હતા તેઓના દેવો પાછળ ગયા. જઈને તેઓ આગળ નમ્યાં. તેઓએ યહોવાહને ક્રોધિત થવાને ઉશ્કેર્યા.  13 તેમણે યહોવાહની સાથેનો સંબંધ તોડી નાખીને બઆલ તથા દેવી આશ્તારોથની પૂજા કરી. 
 14 ત્યારે યહોવાહનો ક્રોધ ઇઝરાયલ વિરુદ્ધ સળગી ઊઠ્યો અને તેમણે તેઓને પાયમાલ કરનારાઓનાં હાથમાં સોંપ્યાં, તેઓએ પાયમાલ કરીને તેઓની સંપત્તિ લૂંટી લીધી. ઈશ્વરે તેઓ આસપાસના દુશ્મનો અધિકારમાં બંધાઈ રહે તેવી રીતે તેમને, વેચી દીધા, તેથી તેઓ તેમના દુશ્મનો સમક્ષ પોતાને ટકાવી શક્યા નહિ.  15 ઇઝરાયલીઓ જ્યાં કંઈ લડાઈ માટે ગયા, જેમ તેમણે સમ લીધા હતા તેમ, ત્યાં તેઓને હરાવવા માટે યહોવાહનો હાથ તેઓની વિરુદ્ધમાં હતો અને તેઓ ભયંકર સંકટમાં આવી પડ્યાં હતા. 
 16 ત્યારે યહોવાહે ન્યાયાધીશો નીમ્યા, તેઓએ તેઓને તેમને લૂંટી જનારાઓના હાથમાંથી બચાવ્યા.  17 તોપણ તેઓ ન્યાયાધીશોનું સાંભળતાં નહોતા, તેઓ યહોવાહને અવિશ્વાસુ હતા. પોતાને અન્ય દેવોની સાથે વ્યભિચાર કરી તેઓની પૂજા કરતા હતા. તેઓના પિતૃઓ યહોવાહની આજ્ઞાઓનું પાલન કરનારા તેઓના પિતૃઓની જેમ તેઓ વર્ત્યા નહિ. તેઓ જલ્દીથી ખરા માર્ગથી ભટકી ગયા. 
 18 જયારે યહોવાહે તેઓને માટે ન્યાયાધીશો નીમ્યા હતા, ત્યારે ઈશ્વર એ ન્યાયાધીશોને મદદ કરતા અને તેઓના જીવતાં સુધી શત્રુઓના હાથમાંથી લોકોને છોડાવતા હતા. કેમ કે જુલમગારો તથા સતાવનારાઓના ત્રાસથી તેઓ નિસાસા નાખતા હોવાથી ઈશ્વરને તેઓ પર દયા આવી હતી.  19 પણ જ્યારે ન્યાયાધીશ મરણ પામતો ત્યારે તેઓ પાછા ફરી તેમના પિતૃઓએ કરેલાં કૃત્યો કરતાં વધુ ખરાબ કૃત્યો કરતા હતા. તેઓ અન્ય દેવોની ભક્તિ તથા પૂજા કરવાને તેઓની પાછળ જતા હતા. અને પોતાના દુરાચારો તથા અવળા માર્ગોથી પાછા વળતા ન હતા. 
 20 તેથી ઈશ્વરનો ક્રોધ ઇઝરાયલ વિરુદ્ધ સળગી ઊઠ્યો; તેમણે કહ્યું, “આ પ્રજાના પિતૃઓની સાથે જે કરાર મેં કર્યો હતો તેનું તેઓએ ઉલ્લંઘન કર્યું છે. અને મારી વાણી સાંભળી નથી,  21 માટે યહોશુઆએ મરણના સમયે જે લોકોને રહેવા દીધા હતા, તેઓમાંના કોઈને પણ, હું હવે પછી, તેઓની આગળથી હાંકી કાઢીશ નહિ.  22 જેમ તેઓના પિતૃઓ ઈશ્વરના માર્ગમાં ચાલ્યા હતા, તેમ ઇઝરાયલ ચાલશે કે કેમ તેની તેઓ વડે હું પરીક્ષા કરું.”  23 તે માટે ઈશ્વરે તે દેશજાતિઓને ઉતાવળે કાઢી ન મૂકતાં રહેવા દીધી અને ઈશ્વરે યહોશુઆના હાથમાં તેઓને સોંપી નહિ.