21
 1 પાણીના પ્રવાહ જેવું રાજાનું મન યહોવાહના હાથમાં છે; 
તે જ્યાં ચાહે છે ત્યાં તેને દોરે છે. 
 2 માણસનો દરેક માર્ગ તેની પોતાની નજરમાં તો સીધો દેખાય છે, 
પણ યહોવાહ તેના હૃદયની તુલના કરે છે. 
 3 ન્યાય તથા નેકીનાં કૃત્યો કરવાં 
તે યહોવાહને યજ્ઞ કરતાં પણ વધારે પસંદ છે. 
 4 અભિમાની આંખો તથા ગર્વિષ્ઠ હૃદય 
તે દુષ્ટોને દીવારૂપ છે, પણ તે પાપ છે. 
 5 ઉદ્યમીના વિચારોનું પુષ્કળ ફળ મળે છે, 
પણ દરેક ઉતાવળિયો ફક્ત નિર્ધન બને છે. 
 6 જૂઠી જીભથી ઘન સંપાદન કરવું તે આમતેમ ઘસડાઈ જતા ધુમાડા જેવું છે, 
એવું કરનાર મોત માગે છે. 
 7 દુષ્ટ લોકોનો અત્યાચાર તેઓને પોતાને જ ઘસડી જાય છે, 
કારણ કે, તેઓ ન્યાય કરવાની ના પાડે છે. 
 8 અપરાધીનો માર્ગ વાંકોચૂંકો છે, 
પણ સંતોનાં કાર્યો સીધા હોય છે. 
 9 કજિયાખોર સ્ત્રીની સાથે વિશાળ ઘરમાં રહેવા કરતાં 
અગાશીના એક ખૂણામાં રહેવું વધારે સારું છે. 
 10 દુષ્ટ વ્યક્તિ ખોટું ઇચ્છે છે; 
તેની નજરમાં તેનો પડોશી પણ કૃપાપાત્ર દેખાતો નથી. 
 11 જ્યારે ઘમંડી વ્યક્તિને શિક્ષા થાય છે, ત્યારે ભોળો સાવચેત બને છે; 
અને જ્યારે ડાહ્યાને શિક્ષણ મળે છે, ત્યારે તે વિદ્વાન થાય છે. 
 12 ન્યાયી લોકો દુષ્ટના ઘર ઉપર નજર રાખે છે, 
પણ ઈશ્વર દુષ્ટોને ઊથલાવી પાડીને પાયમાલ કરે છે. 
 13 જે કોઈ ગરીબની બૂમ સાંભળીને પોતાના કાન બંધ કરે છે, 
તેઓ જ્યારે પોતે પોકારશે, ત્યારે તેઓનું સાંભળવામાં આવશે નહિ. 
 14 છૂપી રીતે આપેલ ભેટથી ક્રોધ શમી જાય છે, 
છુપાવેલી લાંચથી ભારે રોષ શમી જાય છે. 
 15 નેકીવાનો ન્યાય કરવામાં આનંદ માને છે, 
પણ દુષ્કર્મીઓને તો તે વિનાશરૂપ છે. 
 16 સમજણનો માર્ગ છોડીને ચાલનાર માણસ 
મરણ પામેલાઓની સભામાં આવી પડશે. 
 17 મોજશોખ ઉડાવનાર માણસ દરિદ્રી થશે; 
દ્રાક્ષારસ અને તેલનો રસિયો ધનવાન થશે નહિ. 
 18 નેકીવાનોનો બદલો દુષ્ટ લોકોને 
અને પ્રામાણિકોનો બદલો કપટીને ભરવો પડશે. 
 19 કજિયાખોર અને ગુસ્સાવાળી સ્ત્રીની સાથે રહેવા કરતાં 
ઉજ્જડ પ્રદેશમાં જઈ રહેવું સારું છે. 
 20 જ્ઞાનીના ઘરમાં મૂલ્યવાન ભંડાર તથા તેલ છે, 
પણ મૂર્ખ તેનો દૂર ઉપયોગ કરે છે. 
 21 જે નેકી તથા દયાનું અનુકરણ કરે છે, 
તેને જીવન, નેકી તથા સન્માન મળે છે. 
 22 જ્ઞાની માણસ સમર્થ નગરના કોટ પર ચઢે છે 
અને જે સામર્થ્ય પર તેનો ભરોસો હતો તેને તે તોડી પાડે છે. 
 23 જે કોઈ પોતાના મુખની તથા જીભની સંભાળ રાખે છે 
તે સંકટમાં પોતાના આત્માનું રક્ષણ કરે છે. 
 24 જે માણસ ઘમંડી છે; તેનું નામ “તિરસ્કાર” કરનાર છે, 
તે અભિમાનથી મદોન્મત્તપણે વર્તે છે. 
 25 આળસુની ભૂખ જ તેને મારી નાખે છે, 
કારણ કે તેના હાથ કામ કરવાની ના પાડે છે. 
 26 એવા માણસો હોય છે કે જેઓ આખો દિવસ લોભ જ કર્યા કરે છે, 
પણ નેક માણસ તો આપે છે અને હાથ પાછો ખેંચી રાખતો નથી. 
 27 દુષ્ટનો યજ્ઞ કંટાળારૂપ છે, 
તે બદઇરાદાથી યજ્ઞ કરે, તો તે કેટલો બધો કંટાળારૂપ થાય. 
 28 જૂઠી સાક્ષી પૂરનાર નાશ પામશે, 
પરંતુ જે માણસ ધ્યાનથી સાંભળે છે તેની જીત થશે. 
 29 દુષ્ટ માણસ પોતાની મુખમુદ્રા કઠોર કરે છે, 
પણ પ્રામાણિક તો પોતાના માર્ગનો વિચાર કરીને વર્તે છે. 
 30 કોઈ પણ ડહાપણ, બુદ્ધિ કે મસલત 
યહોવાહની આગળ ચાલી શકે નહિ. 
 31 યુદ્ધના દિવસ માટે ઘોડો તૈયાર કરવામાં આવે છે, 
પણ વિજય તો યહોવાહ દ્વારા જ મળે છે.