૧૧
 ૧ હવે આખી પૃથ્વીમાં એક જ ભાષા તથા એક જ બોલી વપરાતી હતી.  ૨ તેઓ પૂર્વ તરફ ગયા, તેઓએ શિનઆર દેશમાં એક સપાટ જગ્યા શોધી ત્યાં તેઓ રહ્યા. 
 ૩ તેઓએ એકબીજાને કહ્યું કે, “ચાલો, આપણે ઈંટો બનાવીએ અને તેને સારી રીતે પકવીએ.” પથ્થરની જગ્યાએ તેઓની પાસે ઈંટો અને ચૂનાની જગ્યાએ ડામર હતો.  ૪ તેઓએ કહ્યું, “આપણે એક શહેર બનાવીએ જેનો બુરજ આકાશો સુધી પહોંચે. એનાથી આપણે આપણું નામ પ્રતિષ્ઠિત કરીએ અને આપણે પૃથ્વી પર વિખેરાઈ જઈએ નહિ.” 
 ૫ તેથી આદમના વંશજો જે નગરનો બુરજ બાંધતા હતા તે જોવાને ઈશ્વર નીચે ઊતર્યા.  ૬ ઈશ્વરે કહ્યું, “જુઓ, આ લોકો એક છે અને તેઓ સર્વની ભાષા એક છે, તેઓએ આવું કરવા માંડ્યું છે! તો હવે જે કંઈ તેઓ કરવા ધારે તેમાં તેઓને કશો અવરોધ નડશે નહિ.  ૭ આવો, આપણે ત્યાં નીચે ઉતરીએ અને તેઓની ભાષાને ગૂંચવી નાખીએ, કે જેથી તેઓ એકબીજાની બોલી સમજી શકે નહિ.” 
 ૮ તેથી ઈશ્વરે તેઓને ત્યાંથી આખી પૃથ્વીની સપાટી પર વિખેરી નાખ્યા અને તેઓ નગરનો બુરજ બાંધી શક્યા નહિ.  ૯ તેથી તે નગરને બાબિલ એટલે ગૂંચવણ કહેવામાં આવે છે. કેમ કે ઈશ્વરે પૃથ્વી પરની ભાષામાં ગૂંચવણ કરી અને ઈશ્વરે તેઓને ત્યાંથી પૃથ્વી પર ચોતરફ વિખેરી નાખ્યા. 
 ૧૦ શેમની વંશાવળી આ પ્રમાણે છે. શેમ સો વર્ષનો હતો અને જળપ્રલયના બે વર્ષ પછી તેના પુત્ર આર્પાકશાદનો જન્મ થયો.  ૧૧ આર્પાકશાદના જન્મ થયા પછી શેમ પાંચસો વર્ષ જીવ્યો. તે બીજા ઘણાં દીકરા અને દીકરીઓનો પિતા થયો. 
 ૧૨ જયારે આર્પાકશાદ પાંત્રીસ વર્ષનો થયો, ત્યારે તેના પુત્ર શેલાનો જન્મ થયો.  ૧૩ શેલાના જન્મ થયા પછી આર્પાકશાદ ચારસો ત્રણ વર્ષ જીવ્યો અને તે બીજા ઘણાં દીકરા અને દીકરીઓનો પણ પિતા થયો. 
 ૧૪ જયારે શેલા ત્રીસ વર્ષનો થયો, ત્યારે તેના પુત્ર હેબેરનો જન્મ થયો.  ૧૫ હેબેરનો જન્મ થયા પછી શેલા ચારસો ત્રણ વર્ષ જીવ્યો અને તે બીજા ઘણાં દીકરા તથા દીકરીઓનો પણ પિતા થયો. 
 ૧૬ હેબેર ચોત્રીસ વર્ષનો થયો ત્યારે તેના પુત્ર પેલેગનો જન્મ થયો.  ૧૭ પેલેગનો પિતા થયા પછી હેબેર ચારસો ત્રીસ વર્ષ જીવ્યો અને તે બીજા દીકરા તથા દીકરીઓનો પણ પિતા થયો. 
 ૧૮ પેલેગ ત્રીસ વર્ષનો થયો ત્યારે તેના પુત્ર રેઉનો જન્મ થયો.  ૧૯ રેઉનો જન્મ થયા પછી પેલેગ બસો નવ વર્ષ જીવ્યો અને તે બીજા દીકરા તથા દીકરીઓનો પણ પિતા થયો. 
 ૨૦ રેઉ બત્રીસ વર્ષનો થયો ત્યારે તેના પુત્ર સરૂગનો જન્મ થયો.  ૨૧ સરૂગનો જન્મ થયા પછી રેઉ બસો સાત વર્ષ જીવ્યો અને તે બીજા દીકરા તથા દીકરીઓનો પણ પિતા થયો. 
 ૨૨ સરૂગ ત્રીસ વર્ષનો થયો ત્યારે તેના પુત્ર નાહોરનો જન્મ થયો.  ૨૩ નાહોરનો જન્મ થયા પછી સરૂગ બસો વર્ષ જીવ્યો અને તે બીજા દીકરા તથા દીકરીઓનો પણ પિતા થયો. 
 ૨૪ નાહોર ઓગણત્રીસ વર્ષનો થયો ત્યારે તેના પુત્ર તેરાહનો જન્મ થયો.  ૨૫ તેરાહનો જન્મ થયા પછી નાહોર એકસો ઓગણીસ વર્ષ જીવ્યો અને તે બીજા દીકરા તથા દીકરીઓનો પણ પિતા થયો. 
 ૨૬ તેરાહ સિત્તેર વર્ષનો થયા પછી તેના પુત્ર ઇબ્રામ, નાહોર તથા હારાનના જન્મ થયા.  ૨૭ હવે તેરાહની વંશાવળી આ છે. તેરાના પુત્રો ઇબ્રામ, નાહોર તથા હારાન હતા. હારાને લોતને જન્મ આપ્યો.  ૨૮ હારાન તેના પિતા તેરાહની હાજરીમાં, તેના જન્મના દેશમાં, કાસ્દીઓના ઉરમાં મૃત્યુ પામ્યો. 
 ૨૯ ઇબ્રામે તથા નાહોરે લગ્ન કર્યાં. ઇબ્રામની પત્નીનું નામ સારાય અને નાહોરની પત્નીનું નામ મિલ્કાહ હતું. તે હારાનની દીકરી હતી, મિલ્કા તથા યિસ્કા હારાનના સંતાનો હતા.  ૩૦ હવે સારાય નિ:સંતાન હતી; તેને કોઈ સંતાન નહોતું. 
 ૩૧ તેરાહ તેના દીકરા ઇબ્રામને તથા દીકરા હારાનના પુત્ર લોતને અને સારાય તેની પુત્રવધૂ (ઇબ્રામની પત્ની)ને લઈને ઉર જે કાસ્દીઓનો પ્રદેશ છે તે છોડીને, કનાન દેશમાં જવા નીકળ્યા. પણ તેઓ હારાનમાં આવીને રહ્યાં.  ૩૨ તેરાહ બસો પાંચ વર્ષની ઉંમરે હારાનમાં મરણ પામ્યો.