The Gospel according to 
Matthew 
માથ્થીની લખેલી સુવાર્તા  
 ૧
ઈસુ ખ્રિસ્તની વંશાવળી 
 ૧ ઈસુ ખ્રિસ્ત જે દાઉદના દીકરા, જે ઇબ્રાહિમનાં દીકરા, તેમની વંશાવળી.  ૨ ઇબ્રાહિમ ઇસહાકનો પિતા, ઇસહાક યાકૂબનો પિતા, યાકૂબ યહૂદા તથા તેના ભાઈઓનો પિતા;  ૩ યહૂદા તથા તામાર, પેરેસ તથા ઝેરાનાં માતાપિતા હતાં, પેરેસ હેસ્રોનનો પિતા, હેસ્રોન આરામનો પિતા. 
 ૪ આરામ અમિનાદાબનો પિતા, અમિનાદાબ નાહશોનનો પિતા, નાહશોન સલ્મોનનો પિતા;  ૫ સલ્મોન બોઆઝનો પિતા અને રાહાબ તેની માતા; બોઆઝ ઓબેદનો પિતા અને રૂથ તેની માતા; ઓબેદ યિશાઈનો પિતા;  ૬ યિશાઈ રાજા દાઉદનો પિતા હતો. 
દાઉદ સુલેમાન કે જેની મા ઉરિયાની પત્ની હતી તેનો પિતા; 
 ૭ અને સુલેમાન રહાબામનો પિતા, રહાબામ અબિયાનો પિતા, અબિયા આસાનો પિતા;  ૮ આસા યહોશાફાટનો પિતા, યહોશાફાટ યોરામનો પિતા, યોરામ ઉઝિયાનો પિતા; 
 ૯ ઉઝિયા યોથામનો પિતા, યોથામ આહાઝનો પિતા, આહાઝ હિઝકિયાનો પિતા;  ૧૦ હિઝકિયા મનાશ્શાનો પિતા; મનાશ્શા આમોનનો પિતા, આમોન યોશિયાનો પિતા;  ૧૧ બાબિલના બંદીવાસને સમયે યોશિયા યખોન્યા તથા તેના ભાઈઓનો પિતા. 
 ૧૨ અને બાબિલના બંદીવાસ પછી, યખોન્યા શાલ્તીએલનો પિતા, શાલ્તીએલ ઝરુબ્બાબેલનો પિતા;  ૧૩ ઝરુબ્બાબેલ અબીઉદનો પિતા, અબીઉદ એલિયાકીમનો પિતા, એલિયાકીમ આઝોરનો પિતા;  ૧૪ આઝોર સાદોકનો પિતા, સાદોક આખીમનો પિતા, આખીમ અલિયુદનો પિતા; 
 ૧૫ અલિયુદ એલાઝારનો પિતા, એલાઝાર મથ્થાનનો પિતા, મથ્થાન યાકૂબનો પિતા;  ૧૬ યાકૂબ યૂસફનો પિતા, યૂસફ જે મરિયમનો પતિ હતો; અને મરિયમથી ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તે જનમ્યાં.  ૧૭ માટે ઇબ્રાહિમથી દાઉદ સુધી બધી મળીને ચૌદ પેઢી થઈ, દાઉદથી બાબિલના બંદીવાસ સુધી ચૌદ પેઢી, બાબિલના બંદીવાસથી ખ્રિસ્તનાં સમય સુધી ચૌદ પેઢી થઈ. 
ઈસુ ખ્રિસ્તનો જન્મ 
 ૧૮ ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પ્રમાણે થયો. તેમની મા મરિયમની સગાઈ યૂસફ સાથે થયા પછી, તેઓનો શારીરિક સંબંધ થયા અગાઉ તે પવિત્ર આત્માથી ગર્ભવતી થયેલી જણાઈ.  ૧૯ તેનો પતિ યૂસફ ન્યાયી માણસ હતો, જેણે તેનું ઉઘાડી રીતે અપમાન કરવા ન ચાહતા, તેને ગુપ્ત રીતે છોડી દેવાનો વિચાર કર્યો. 
 ૨૦ જયારે તે એ બાબત વિશે વિચારતો હતો, ત્યારે પ્રભુના સ્વર્ગદૂતે તેને સ્વપ્નમાં કહ્યું કે, “ઓ યૂસફ, દાઉદના દીકરા, તું તારી પત્ની મરિયમને તેડી લાવવાને બીશ નહિ; કેમ કે તેના ગર્ભમાં જે બાળક છે તે પવિત્ર આત્માથી છે.  ૨૧ તેને દીકરો થશે અને તું તેમનું નામ ઈસુ પાડશે; કેમ કે તે પોતાના લોકોને તેઓનાં પાપથી ઉદ્ધાર કરશે.” 
 ૨૨ હવે એ બધું એ માટે થયું કે, પ્રભુએ પ્રબોધક દ્વારા જે કહ્યું હતું તે પૂરું થાય, એટલે,  ૨૩ “જુઓ, કુંવારી ગર્ભવતી થશે, તેને દીકરો થશે અને તેનું નામ તેઓ ઈમ્માનુએલ પાડશે, જેનો અર્થ એ છે કે, 'ઈશ્વર આપણી સાથે.'” 
 ૨૪ ત્યારે યૂસફે ઊંઘમાંથી ઊઠીને જેમ પ્રભુના સ્વર્ગદૂતે તેને આજ્ઞા આપી હતી તેમ કર્યું. તે પોતાની પત્નીને તેડી લાવ્યો.  ૨૫ મરિયમને દીકરો થયો ત્યાં સુધી યૂસફે મરિયમની સાથે શારીરિક સંબંધ કર્યો નહિ; અને તેણે દીકરાનું નામ ઈસુ પાડ્યું.