Psalms 
ગીતશાસ્ત્ર  
 ૧
 ૧ જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, 
જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી, 
અને જે નિંદાખોરોની સાથે બેસતો નથી, તે આશીર્વાદિત છે. 
 ૨ યહોવાહના નિયમશાસ્ત્રથી તે હર્ષ પામે છે 
અને રાતદિવસ તે તેમના નિયમશાસ્ત્રનું મનન કરે છે. 
 ૩ તે નદીના કિનારે રોપાયેલાં વૃક્ષ જેવો થશે, 
જે પોતાનાં ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે, 
જેનાં પાંદડાં કદી પણ કરમાતાં નથી, 
તે જે કંઈ કરે છે તે સફળ થાય છે. 
 ૪ દુષ્ટો એવા નથી, 
પણ તેઓ પવનથી ઊડતાં ફોતરાં જેવા છે. 
 ૫ તેથી દુષ્ટો ન્યાયાસન આગળ ટકશે નહિ 
અને ન્યાયીઓની સભામાં પાપીઓ ઊભા રહી શકશે નહિ. 
 ૬ કેમ કે યહોવાહ ન્યાયીઓનો માર્ગ જાણે છે, 
પણ દુષ્ટોના માર્ગનો નાશ થશે.