૧૭
 ૧ તેની જગ્યાએ તેનો દીકરો યહોશાફાટ ગાદીએ બેઠો. તેણે ઇઝરાયલની સામે યુદ્ધ કર્યું.  ૨ યહૂદિયાના કિલ્લાવાળાં બધાં નગરોમાં લશ્કર તહેનાત કર્યું અને યહૂદિયા દેશમાં તેમ જ તેના પિતા આસાએ કબજે કરેલાં એફ્રાઇમના નગરોમાં થાણાં સ્થાપિત કર્યા. 
 ૩ ઈશ્વર યહોશાફાટની સાથે હતા, કેમ કે તેના પિતૃ દાઉદ શરૂઆતના વર્ષોમાં જે માર્ગે ચાલ્યા હતા તે જ માર્ગ પર યહોશાફાટ ચાલ્યો અને તે બઆલિમ તરફ ફર્યો ન હતો.  ૪ પણ તેના બદલે તે તેના પિતાના ઈશ્વર પર આધાર રાખતો અને તેમની આજ્ઞાઓ પ્રમાણે ચાલતો હતો, ઇઝરાયલના લોકો કરતાં તેનું જીવન જુદા જ પ્રકારનું હતું; તેણે ઇઝરાયલનું ખોટું અનુસરણ કર્યું નહિ. 
 ૫ તેથી ઈશ્વરે તેના હાથમાં રાજ સ્થિર કર્યું; આખું યહૂદા તેને ખંડણી આપતું હતું. તે પુષ્કળ માન અને સંપત્તિ પામ્યો.  ૬ ઈશ્વરના માર્ગોમાં તેનું અંત:કરણ લાગેલું હતું. તેણે યહૂદિયામાંથી ઉચ્ચસ્થાનો તેમ જ અશેરીમ મૂર્તિના સ્તંભોનો પણ નાશ કર્યો. 
 ૭ તેના શાસનકાળના ત્રીજા વર્ષે તેણે પોતાના અધિકારીઓ બેન-હાયિલ, ઓબાદ્યા, ઝખાર્યા, નથાનએલ અને મિખાયાને યહૂદિયાના નગરોમાં બોધ કરવાને મોકલ્યા.  ૮ વળી તેઓની સાથે લેવીઓને એટલે શમાયા, નાથાન્યા, ઝબાદ્યા, અસાહેલ, શમિરામોથ, યહોનાથાન, અદોનિયા, ટોબિયા અને ટોબ-અદોનિયાને તેમ જ યાજકોને એટલે અલિશામા અને યહોરામને પણ મોકલ્યા.  ૯ તેઓએ યહૂદિયામાં શિક્ષણ આપ્યું. તેઓની પાસે ઈશ્વરનું નિયમશાસ્ત્ર હતું. યહૂદાનાં સર્વ નગરોમાં જઈને તેઓએ નિયમશાસ્ત્ર અનુસાર લોકોને શિક્ષણ આપ્યું. 
 ૧૦ આથી યહૂદિયાની આસપાસના બધા પ્રદેશોનાં રાજયોને ઈશ્વરનો ભય લાગ્યો તેથી તેઓએ યહોશાફાટ સાથે યુદ્ધ કર્યું નહિ.  ૧૧ કેટલાક પલિસ્તીઓ યહોશાફાટ પાસે ઉપહાર અને ખંડણી તરીકે ચાંદી લાવ્યા. આરબો પણ પશુઓ એટલે સાત હજાર સાતસો બકરીઓ અને સાત હજાર સાતસો ઘેટાં ભેટ તરીકે લાવ્યા. 
 ૧૨ યહોશાફાટ ક્રમે ક્રમે વધારે બળવાન થતો ગયો. તેણે યહૂદિયામાં કિલ્લાઓ અને ભંડાર માટે નગરો બાંધ્યાં.  ૧૩ તેની પાસે યહૂદિયાના નગરોમાં પુષ્કળ સામગ્રી તેમ જ યરુશાલેમમાં ઘણાં સૈનિકો તથા પરાક્રમી અને શક્તિશાળી પુરુષો હતા. 
 ૧૪ તેઓના પિતૃઓના ઘરનાં નામ પ્રમાણે તેઓની યાદી આ પ્રમાણે છે: 
યહૂદિયાના હજારો સેનાપતિઓનો મુખ્ય સેનાપતિ આદના હતો. 
તેની પાસે ત્રણ લાખ લડવૈયા પુરુષો હતા; 
 ૧૫ તેનાથી ઊતરતા દરજ્જાનો સેનાપતિ યહોહાનાન હતો. તેની હકૂમતમાં બે લાખ એંશી હજાર લડવૈયા હતા; 
 ૧૬ તેના હાથ નીચે સ્વેચ્છાથી ઈશ્વરની સેવા કરનાર ઝિખ્રીનો દીકરો અમાસ્યા હતો; તેની પાસે બે લાખ લડવૈયા હતા. 
 ૧૭ એલ્યાદા બિન્યામીનના કુળનો શૂરવીર માણસ હતો અને તેની પાસે બે લાખ ધનુષ્ય અને ઢાલથી સજ્જ સૈનિકો હતા; 
 ૧૮ તેનાથી ઊતરતો દરજ્જો યહોઝાબાદ હતો અને તેની પાસે યુદ્ધ માટે સજ્જ એવા એક લાખ એંશી હજાર યોદ્ધાઓ હતા.  ૧૯ આખા યહૂદિયામાં કિલ્લાવાળાં સર્વ નગરોમાં જેઓને રાજાએ રાખ્યા હતા. તે ઉપરાંત આ લોકો પણ રાજાની સેવામાં તત્પર રહેતા હતા.