૧૭
 ૧ યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,  ૨ હે મનુષ્ય પુત્ર, ઇઝરાયલી લોકોને ઉખાણું કહીને તેઓને આ દ્રષ્ટાંત આપ.  ૩ તેઓને કહે કે, પ્રભુ યહોવાહ આમ કહે છે, 
મોટી પાંખોવાળો તથા લાંબા નખવાળો રંગબેરંગી પીંછાવાળો, 
મોટો ગરુડ ઊડીને લબાનોન પર આવ્યો અને તેણે એરેજવૃક્ષની ટોચની ડાળી તોડી. 
 ૪ વૃક્ષની ટોચે રહેલી ડાળીઓ તોડીને તેને તે કનાન દેશમાં લઈ ગયો; 
તેણે તે વેપારીઓના નગરમાં રોપી. 
 ૫ તેણે જમીન પરથી કેટલાંક બીજ પણ લીધાં, તેને વાવણી માટે તૈયાર જમીન પર વાવ્યા. 
તેણે તે દેશનું બી લઈને ફળદ્રુપ જમીનમાં મોટા જળાશય પાસે ઊગેલા વૃક્ષની માફક રોપ્યું. 
 ૬ તે બીજમાંથી વેલો ઊગીને વધવા લાગ્યો અને તે વધીને નીચા કદનો ફાલેલો દ્રાક્ષાવેલો બન્યો. 
તેની ડાળીઓ તેની તરફ વળી અને તેનાં મૂળ તેની નીચે હતાં. 
તે દ્રાક્ષાવેલો બન્યો, તેને ડાળીઓ આવી અને કૂંપળો ફૂટી નીકળી. 
 ૭ પણ બીજો મોટી પાંખવાળો તથા ઘણાં પીંછાવાળો એક ગરુડ હતો. 
અને જુઓ, પેલા દ્રાક્ષવેલાએ પોતાના મૂળિયાં ગરુડ તરફ વાળ્યાં, 
તેને જે ક્યારામાં ઉગાવવામાં આવ્યો હતો ત્યાંથી તેની ડાળીઓ ગરુડ તરફ વળી, જેથી તે વધારે પાણી સિંચે. 
 ૮ તેને સારી જમીનમાં મોટા જળાશય પાસે રોપવામાં આવ્યો હતો, 
જેથી તેને પુષ્કળ ડાળીઓ ફૂટે અને ફળ લાગે, તે મજાનો દ્રાક્ષાવેલો બને!'” 
 ૯ લોકોને કહે કે, 'પ્રભુ યહોવાહ એવું કહે છે: શું તે ફાલશે? 
ઘણું બળ કે ઘણાં લોકને કામે લગાડ્યા સિવાય તે તેને સમૂળગો ઉખેડી નહિ નાખે? 
તેનાં મૂળ ઉખેડી નાખીને અને તેનાં ફળો તોડીને તેના બધાં લીલાં પાંદડાં ચીમળાવી નહિ નાખે? 
 ૧૦ હા જુઓ, તેને રોપ્યો છે તો ખરો પણ શું તે ફાલશે ખરો? 
જ્યારે પૂર્વનો પવન વાશે ત્યારે એ સુકાઈ નહિ જાય? 
જે ક્યારામાં તે ઊગ્યો છે ત્યાં તે ચીમળાઇ જશે.'” 
 ૧૧ યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને મને કહ્યું,  ૧૨ “તું બંડખોર લોકોને કહે કે: આ વાતોનો અર્થ શો છે તે તમે જાણતા નથી? જુઓ, તું તેઓને સમજાવ કે બાબિલનો રાજા યરુશાલેમ આવીને તેના રાજાને તથા આગેવાનોને પકડીને તેઓને પોતાની પાસે બાબિલ નગરમાં લઈ ગયો. 
 ૧૩ તેણે રાજવંશમાંથી એક માણસ સાથે કરાર કર્યો, તેની પાસે વચન પણ લીધું. અને તે દેશના બળવાન લોકોને દૂર લઈ ગયો,  ૧૪ તેથી રાજ્ય નિર્બળ થાય અને પોતે ઊભું થઈ શકે નહિ. પણ તેની સાથે કરેલો કરાર પાડીને નભી રહે. માટે તે દેશના આગેવાનોને તે તેની સાથે લઈ ગયો. 
 ૧૫ યરુશાલેમના રાજાએ ઘોડાઓ તથા મોટું સૈન્ય મેળવવા માટે રાજદૂતોને મિસર મોકલીને યરુશાલેમના રાજાએ તેની વિરુદ્ધ બળવો કર્યો. શું તે સફળ થશે ખરા? આવાં કામો કરીને શું તે બચી જશે? શું તે કરાર તોડીને બચી જશે?  ૧૬ પ્રભુ યહોવાહ પોતાના જીવના સમ ખાઈને કહે છે કે, 'હું ખાતરી પૂર્વક કહું છું કે જે રાજાએ તેને રાજા બનાવ્યો છે, જેના સોગનને તેણે ધિક્કાર્યા છે, જેના કરારનો તેણે ભંગ કર્યો છે, તે રાજાના દેશમાં એટલે બાબિલમાં મૃત્યુ પામશે. 
 ૧૭ જ્યારે ઘણા લોકોનો સંહાર કરવા મોરચા ઉઠાવવામાં આવશે તથા કિલ્લાઓ બાંધવામાં આવશે, ત્યારે ફારુન તથા તેનું મોટું સૈન્ય તેની મદદ કરી શકશે નહિ.  ૧૮ કેમ કે રાજાએ કરાર તોડીને સોગનને તુચ્છ ગણ્યા છે. જુઓ, તેણે પોતાનો હાથ લંબાવીને કરાર કર્યો છે, પણ તેણે આ બધા કામો કર્યાં છે. તે બચવાનો નથી. 
 ૧૯ આથી પ્રભુ યહોવાહ કહે છે: ' મારા જીવનના સમ ખાઈને કહું છું કે, મારા સોગન જે તેણે તોડ્યા છે અને મારો કરાર તેણે ભાગ્યો છે? તેથી હું તેના પર શિક્ષા લાવીશ.  ૨૦ હું તેના પર મારી જાળ નાખીશ, તે મારા ફાંદામાં સપડાશે. હું તેને બાબિલમાં લાવીને તેણે મારી સાથે જે વિશ્વાસઘાત કર્યો તેને લીધે તેની સાથે વિવાદ કરીશ.  ૨૧ તેના નાસી ગયેલા સર્વ લોકની ટુકડી તલવારથી પડશે, બાકી રહેલાઓ ચારે દિશામાં વેરવિખેર થઈ જશે. ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું; હું તે બોલ્યો છું.” 
 ૨૨ પ્રભુ યહોવાહ કહે છે: “વળી હું એરેજ વૃક્ષની ટોચ પરની ડાળી લઈને તેને રોપીશ, હું તેની ઊંચી કૂપળોમાંથી કાપી લઈને ઊંચામાં ઊંચા પર્વતના શિખર પર રોપીશ.  ૨૩ હું તેને ઇઝરાયલના ઊંચામાં ઊંચા પર્વતની ટોચે રોપીશ, તેને ડાળીઓ ફૂટશે, ફળ બેસશે, તે પ્રખ્યાત એરેજવૃક્ષ બનશે. તમામ પ્રકારનાં પક્ષીઓ તેની નીચે વાસો કરશે. તેઓ તેની ડાળીઓની છાયામાં માળા બાંધશે. 
 ૨૪ વનનાં સર્વ વૃક્ષો જાણશે કે હું યહોવાહ છું, હું ઊંચાં વૃક્ષોને નીચાં કરું છું અને નીચાં વૃક્ષોને ઊંચાં કરું છું; હું લીલાં વૃક્ષને સૂકવી નાખું છું અને હું સૂકા વૃક્ષને લીલાં બનાવું છું, હું યહોવાહ છું; મેં તે કહ્યું છે અને હું તે કરીશ!”