૪
વાવનારનું દ્રષ્ટાંત 
 ૧ ઈસુ સમુદ્રને કિનારે ફરી બોધ કરવા લાગ્યા. અતિ ઘણાં લોકો ભેગા થયા, માટે તે સમુદ્રમાં હોડી પર ચઢીને બેઠા; અને બધા લોકો સમુદ્રની પાસે કાંઠા પર હતા.  ૨ અને દ્રષ્ટાંતોમાં તેમણે તેઓને ઘણો બોધ કર્યો; અને પોતાના બોધમાં તેઓને કહ્યું, 
 ૩ 'સાંભળો, જુઓ, વાવનાર વાવવાને બહાર ગયો.  ૪ એમ થયું કે, તે વાવતો હતો ત્યારે કેટલાક બીજ રસ્તાની કોરે પડ્યાં; અને પક્ષીઓ આવીને તે ખાઈ ગયા.  ૫ બીજાં પથ્થરવાળી જમીનમાં પડ્યાં, જ્યાં વધારે માટી ન હતી; અને જમીન ઊંડી ન હતી, માટે તે તરત ઊગી નીકળ્યાં; 
 ૬ પણ સૂર્ય ઊગ્યો ત્યારે તેઓ ચીમળાઈ ગયા; અને તેઓને જડ ન હતી માટે તેઓ સુકાઈ ગયા.  ૭ બીજાં કાંટાનાં જાળાંમાં પડ્યાં; અને કાંટાનાં જાળાંએ વધીને તેઓને દાબી નાખ્યાં; અને તેઓએ ફળ ન આપ્યું. 
 ૮ બીજાં બીજ સારી જમીનમાં પડ્યાં; અને તેઓએ ઊગીને તથા વઘીને ફળ આપ્યાં, ત્રીસગણાં તથા સાંઠગણાં તથા સોગણાં ફળ આપ્યાં.  ૯ તેમણે તેઓને કહ્યું કે, 'જેને સાંભળવાને કાન છે તે સાંભળે.' 
દ્રષ્ટાંતનો હેતુ 
 ૧૦ જયારે તે એકાંતમાં હતા ત્યારે બાર શિષ્યો સહિત જેઓ તેમની પાસે હતા, તેઓએ તેમને આ દ્રષ્ટાંતો વિષે પૂછ્યું.  ૧૧ તેમણે તેઓને કહ્યું કે, 'ઈશ્વરના રાજ્યનો મર્મ તમને અપાયો છે; પણ જેઓ બહારના છે તેઓને સઘળી વાતો દ્રષ્ટાંતોમાં અપાય છે;  ૧૨ એ માટે કે તેઓ જોતાં જુએ, પણ જાણે નહિ; અને સાંભળતાં સાંભળે, પણ સમજે નહિ; એમ ન થાય કે તેઓ ફરે અને તેઓને પાપની માફી મળે. 
વાવનારનાં દ્રષ્ટાંતનો ખુલાસો 
 ૧૩ તે તેઓને કહે છે કે, શું તમે આ દૃષ્ટાંત સમજતા નથી? ત્યારે સર્વ દ્રષ્ટાંતો કેવી રીતે સમજશો?  ૧૪ વાવનાર વચન વાવે છે.  ૧૫ રસ્તાની કોર પરનાં એ છે કે જ્યાં વચન વવાય છે અને તેઓ સાંભળે છે કે તરત શેતાન આવીને તેઓમાં જે વચન વવાયેલું હતું તે લઈ જાય છે. 
 ૧૬ એમ જ જેઓ પથ્થરવાળી જમીનમાં વવાયેલાં તેઓ એ છે, કે જેઓ વચન સાંભળીને તરત આનંદથી તેને માની લે છે;  ૧૭ અને તેમના પોતાનામાં જડ હોતી નથી, એટલે થોડીવાર ટકે છે; પછી વચનને લીધે દુઃખ અથવા સતાવણી આવે છે ત્યારે તેઓ આત્મિક જીવનમાં ટકી શકતા નથી. 
 ૧૮ બીજાં જેઓ કાંટાઓમાં વવાયેલાં છે તેઓ એ છે કે, જેઓએ વચન સાંભળ્યું,  ૧૯ પણ આ ભૌતિક જગતની ચિંતાઓ, દ્રવ્યની માયા તથા બીજી વસ્તુઓનો લોભ પ્રવેશ કરીને વચનને દાબી નાખે છે; અને તે નિષ્ફળ થાય છે.  ૨૦ જેઓ સારી જમીનમાં વવાયેલાં તેઓ એ છે કે, જેઓ વચન સાંભળે છે, અને તેને ગ્રહણ કરે છે, અને ત્રીસગણાં તથા સાંઠગણાં તથા સોગણાં ફળ આપે છે.' 
માપ નીચે દીવો? 
 ૨૧ તેમણે તેઓને કહ્યું કે, 'શું દીવી નીચે અથવા પલંગ નીચે મૂકવા સારુ કોઈ દીવો લાવે છે? શું દીવીની ઉપર મૂકવા સારુ નહિ?  ૨૨ કેમ કે જે કંઈ ગુપ્ત છે તે એ માટે છે કે તે પ્રગટ કરાય અને જે ઢાંકેલું છે તે એ સારુ છે કે ખુલ્લું કરવામાં આવે.  ૨૩ જો કોઈને સાંભળવાને કાન છે તો તેણે સાંભળવું.' 
 ૨૪ તેમણે તેઓને કહ્યું કે, 'તમે જે સાંભળો છો તે પર ધ્યાન રાખો. જે માપથી તમે માપો છો તેનાથી જ તમને માપી અપાશે; અને તમને વધતું અપાશે;  ૨૫ કેમ કે જેની પાસે છે તેને અપાશે અને જેની પાસે નથી, તેનું જે છે તે પણ તેની પાસેથી લઈ લેવાશે.' 
વૃદ્ધિ પામતા બીજનું દ્રષ્ટાંત 
 ૨૬ તેમણે કહ્યું કે, 'ઈશ્વરનું રાજ્ય એવું છે કે જાણે કોઈ માણસ જમીનમાં બી વાવે,  ૨૭ તે રાતદિવસ ઊંઘે તથા જાગે અને તે બી ઊગે તથા વધે પણ શી રીતે તે વધે છે એ તે જાણતો નથી.  ૨૮ જમીન તો પોતાની જાતે ફળ આપે છે, પહેલાં અંકુર, પછી કણસલું, પછી કણસલાંમાં ભરપૂર દાણા.  ૨૯ પણ દાણા પાક્યા પછી તરત તે દાતરડું ચલાવે છે; કેમ કે કાપણીનો વખત થયો હોય છે. 
રાઈના દાણાનું દ્રષ્ટાંત 
 ૩૦ તેમણે કહ્યું કે, 'ઈશ્વરના રાજ્યને શાની સાથે સરખાવીએ? અથવા તેને સમજાવવા કયું દ્રષ્ટાંત આપીએ?  ૩૧ તે રાઈના દાણાના જેવું છે; તે જમીનમાં વવાય છે ત્યારે જમીનનાં સર્વ બીજ કરતાં તે નાનું હોય છે;  ૩૨ પણ વાવ્યા પછી તે ઊગી નીકળે છે, અને સર્વ છોડ કરતાં મોટું થાય છે અને તેને એવી મોટી ડાળીઓ થાય છે કે આકાશનાં પક્ષીઓ તેની છાયા નીચે વાસો કરી શકે છે.' 
 ૩૩ એવાં ઘણાં દ્રષ્ટાંતોમાં જેમ તેઓ સાંભળી શકતા હતા તેમ તે તેઓને વચન કહેતાં હતા.  ૩૪ દ્રષ્ટાંત વિના તે તેઓને કંઈ કહેતાં ન હતા; પણ પોતાના શિષ્યોને એકાંતે તેઓ સઘળી વાતોનો ખુલાસો કરતા. 
ઈસુ તોફાન શાંત પાડે છે 
 ૩૫ તે દિવસે સાંજ પડી ત્યારે તે તેઓને કહે છે કે, 'આપણે પેલે પાર જઈએ.'  ૩૬ લોકોને મૂકીને શિષ્યો ઈસુને પોતાની સાથે હોડીમાં લઈ જાય છે. બીજી હોડીઓ પણ તેની સાથે હતી.  ૩૭ પછી પવનનું મોટું તોફાન થયું; અને હોડીમાં મોજાંઓ એવાં ઊછળી આવ્યાં કે તે ભરાઈ જવા લાગી. 
 ૩૮ તે હોડીના પાછલા ભાગમાં ઓશીકા પર માથું ટેકીને ઊંઘતા હતા; અને તેઓ તેમને જગાડીને કહે છે કે, 'ઉપદેશક, અમે નાશ પામીએ છીએ, તેની તમને શું કંઈ ચિંતા નથી?'  ૩૯ તેમણે ઊઠીને પવનને ધમકાવ્યો તથા સમુદ્રને કહ્યું કે, 'શાંત થા.' ત્યારે પવન બંધ થયો અને મહાશાંતિ થઈ. 
 ૪૦ તેમણે તેઓને કહ્યું કે, તમે કેમ ભયભીત થયા છો? શું તમને હજુ પણ વિશ્વાસ નથી?'  ૪૧ તેઓ ઘણાં ગભરાયા તથા માંહોમાંહે બોલ્યા કે, 'આ તે કોણ છે કેમ કે પવન તથા સમુદ્ર પણ તેમનું માને છે?'