112
 1 યહોવાની સ્તુતિ થાઓ! 
જે યહોવાનો ડર રાખે છે અને માન આપે છે તેને ધન્ય છે. 
અને જેઓ ખુશીથી તેની આજ્ઞાને અનુસરે છે તેઓ આશીર્વાદિત છે. 
 2 તેઓનાં સંતાન પૃથ્વી પર બળવાન થશે; 
અને ન્યાયીઓના વંશજો સાચા અર્થમાં આશીર્વાદ પામશે. 
 3 તેમના ઘરમાં ધનદોલતની વૃદ્ધિ થશે; 
અને તેમનું ન્યાયીપણુ કદી વિસરાશે નહિ. 
 4 સારા લોકો માટે અંધકારમાં પ્રકાશ પ્રગટ થાય છે; 
તેઓને માટે દેવ ભલા, દયાળુ અને કૃપાળુ છે. 
 5 વ્યકિત માટે દયાળુ અને ઉદાર થવું તે સારું છે, 
વ્યકિત માટે એ તેના બધાં વ્યવહારમાં ન્યાયી રહેવું તે સારું છે. 
 6 તે વ્યકિત કદી પડશે નહિ 
તેથી સારા માણસનું સ્મરણ સર્વકાળ રહેશે. 
 7 તે ખરાબ સમાચારથી ડરતો નથી; 
અને શું થશે તેની પણ ચિંતા કરતો નથી તે દેવ પર ભરોસો રાખી દ્રઢ રહે છે. 
 8 તેનું અંત:કરણ શાંત અને સ્થિર રહે છે; 
તેથી તે ડરશે નહિ. શત્રુઓ પર જીત મેળવશે. 
 9 તેણે ઉદારતાથી નિર્ધનોની મદદ કરી છે, 
અને તેનું ન્યાયીપણું સર્વકાળ ટકે છે; 
અને તે મોટું સન્માન પ્રાપ્ત કરશે. 
 10 જ્યારે દુષ્ટો આ જોશે ત્યારે ગુસ્સે થશે, 
તેઓ ક્રોધમાં પોતાના દાંત પીસશે; 
અને દુબળા થઇ જશે એમ દુષ્ટોની યોજનાઓ નિષ્ફળ જશે.