Ecclesiastes
સભાશિક્ષક
૧ યરુશાલેમના રાજા દાઉદના પુત્ર સભાશિક્ષકનાં વચનો. ૨ સભાશિક્ષક કહે છે કે.
“વ્યર્થતાની વ્યર્થતા,
વ્યર્થતાની વ્યર્થતા સઘળું વ્યર્થ છે.
સઘળું પવનને મૂઠ્ઠીમાં ભરવા જેવું છે.
૩ જે સર્વ પ્રકારનાં શ્રમ મનુષ્ય પૃથ્વી પર કરે છે, તેથી તેને શો લાભ છે?
૪ એક પેઢી જાય છે અને બીજી આવે છે
પરંતુ દુનિયા સદા ટકી રહે છે.
૫ સૂર્ય ઊગે છે
પછી અસ્ત થઈને
ફરી તેને ઊગવાની જગ્યાએ સત્વરે જાય છે.
૬ પવન દક્ષિણ તરફ વાય છે
અને ઉત્તર તરફ પણ વળે છે
તે પોતાની ગતિમાં આમતેમ નિરંતર ફર્યા કરે છે.
અને તે પોતાના માર્ગમાં પાછો આવે છે.
૭ સર્વ નદીઓ વહીને સમુદ્રમાં સમાય છે
તો પણ સમુદ્ર તેઓનાથી ભરાઈ જતો નથી
જે જગાએ નદીઓ જાય છે
ત્યાંથી તેઓ પાછી આવે છે.
૮ બધી જ વસ્તુઓ કંટાળાજનક છે
તેનું પૂરું વર્ણન મનુષ્ય કરી શકે તેમ નથી.
ગમે તેટલું જોવાથી આંખો થાકતી નથી
અને સાંભળવાથી કાન સંતુષ્ટ થતા નથી.
૯ જે થઈ ગયું છે તે જ થવાનું છે
અને જે કરવામાં આવ્યું છે તે જ કરવામાં આવશે
પૃથ્વી પર કશું જ નવું નથી.
૧૦ શું એવું કંઈ છે કે જેના વિષે લોકો કહી શકે કે
“જુઓ, તે નવું છે'?
તોપણ જાણવું કે આપણી અગાઉના,
જમાનામાં તે બન્યું હતું.
૧૧ ભૂતકાળની પેઢીઓનું સ્મરણ નથી;
અને ભવિષ્યમાં આવનારી પેઢીઓનું,
કંઈ પણ સ્મરણ પણ
હવે પછી થનાર પેઢીઓમાં રહેશે નહિ.
૧૨ હું સભાશિક્ષક યરુશાલેમમાં ઇઝરાયલનો રાજા હતો. ૧૩ પૃથ્વી પર જે કંઈ બને છે તેની શોધ કરવા અને સમજવા મેં મારા ડહાપણને લગાડ્યું તો એ સમજાયું કે કષ્ટમય શ્રમ ઈશ્વરે માણસને કેળવવાના સાધન તરીકે આપ્યો છે. ૧૪ પૃથ્વી પર જે સર્વ થાય છે તે બાબતો મેં જોઈ છે. એ સર્વ વ્યર્થ તથા પવનને મૂઠ્ઠીમાં ભરવા જેવું છે.
૧૫ જે વાકું છે તેને સીધું કરી શકાતું નથી
અને જે ખૂટતું હોય તે બધાની ગણતરી કરી શકાતી નથી!
૧૬ મેં સ્વયં પોતાને કહ્યું કે, “જુઓ, યરુશાલેમમાં મારી અગાઉ થઈ ગયેલા અન્ય રાજાઓ કરતાં મેં વધારે જ્ઞાન મેળવ્યું છે. મારા મનને જ્ઞાન અને વિદ્યાનો ઘણો અનુભવ થયેલો છે.” ૧૭ પછી મેં મારું મન જ્ઞાન સમજવામાં તથા પાગલપણું અને મૂર્ખતા સમજવામાં લગાડ્યું. ત્યારે મને સમજાયું કે આ પણ પવનને મૂઠ્ઠીમાં ભરવા જેવું છે. ૧૮ કેમ કે અધિક ડહાપણથી અધિક શોક થાય છે. અને વિદ્યા વધારનાર શોક વધારે છે.