૧૨
૧ એફ્રાઇમના માણસો એકત્ર થઈને ઉત્તર તરફ ગયા. તેઓએ યિફતાને કહ્યું, “તું આમ્મોનીઓની વિરુદ્ધ લડવા ગયો ત્યારે તારી સાથે જવા માટે તેં અમને કેમ બોલાવ્યા નહિ? અમે તને તારા ઘરમાં પૂરીને આગ લગાડીશું.” ૨ યિફતાએ તેઓને કહ્યું, “મારે અને મારા લોકોને આમ્મોનીઓ સાથે સંઘર્ષ ચાલતો હતો. જયારે મેં તમને બોલાવ્યા, ત્યારે તમે મને તેઓથી બચાવ્યો ન હતો.
૩ જયારે મેં જોયું કે તમે મને બચાવ્યો નહિ, ત્યારે હું મારો જીવ જોખમમાં નાખીને આમ્મોનીઓની સામે ગયો અને ઈશ્વરે મને વિજય અપાવ્યો. હવે તમે શા માટે આજે મારી વિરુદ્ધ લડવાને આવ્યા છો?” ૪ યિફતાએ ગિલ્યાદના સર્વ માણસોને એકત્ર કર્યા અને એફ્રાઇમીઓ વિરુદ્ધ લડાઈ કરી. ગિલ્યાદના માણસોએ એફ્રાઇમના માણસો પર હુમલો કર્યો કેમ કે તેઓએ કહ્યું, “તમે એફ્રાઇમ તથા મનાશ્શા મધ્યે રહેનારા ગિલ્યાદીઓ - એફ્રાઇમથી નાસી આવેલા છો.”
૫ ગિલ્યાદીઓએ યર્દન પાર કરીને એફ્રાઇમીઓને અટકાવ્યા અને જયારે કોઈ નાસી જતો એફ્રાઇમી બચી જતો ત્યારે તે કહેતો, “મને નદી પાર કરી જવા દે,” ત્યારે ગિલ્યાદના માણસો તેઓને કહેતા, “શું તું એફ્રાઇમી છે?” જો તે એવો જવાબ આપે કે, “ના,” ૬ તો તેઓ તેને એવું કહેત કે, “'શિબ્બોલેથ' બોલ.” અને જો તે “શિબ્બોલેથ,” બોલે તો તે ઓળખાઈ જાય કેમ કે તે આ શબ્દોનો યોગ્ય ઉચ્ચાર કરી શકતો ન હતો. તેથી ગિલ્યાદીઓ તેને પકડી અને તેને યર્દનનાં કિનારે મારી નાખત. તે સમયે બેતાળીસ હજાર એફ્રાઇમીઓને મારી નાખવામાં આવ્યા. ૭ યિફતાએ છ વર્ષ સુધી ઇઝરાયલીઓનો ન્યાય કર્યો. પછી ગિલ્યાદી યિફતા મરણ પામ્યો અને તેને ગિલ્યાદના એક નગરમાં દફનાવવામાં આવ્યો. ૮ તેના પછી, બેથલેહેમના ઇબ્સાને ઇઝરાયલીઓનો ન્યાય કર્યો. ૯ તેને ત્રીસ દીકરાઓ હતા. તેણે ત્રીસ દીકરીઓનાં લગ્ન અન્ય લોકોમાં કરાવ્યા. અને પોતાના દીકરાઓનાં બહારનાં લોકોની દીકરીઓ સાથે કરાવ્યા. તેણે સાત વર્ષ ઇઝરાયલનો ન્યાય કર્યો.
૧૦ ઇબ્સાન મરણ પામ્યો અને બેથલેહેમમાં દફનાવવામાં આવ્યો. ૧૧ તેના પછી એલોન ઝબુલોનીએ ઇઝરાયલીઓનો ન્યાય કર્યો. તેણે દસ વર્ષ ઇઝરાયલનો ન્યાય કર્યો. ૧૨ એલોન ઝબુલોની મરણ પામ્યો અને ઝબુલોનના આયાલોન દેશમાં દફનાવવામાં આવ્યો.
૧૩ તેના પછી હિલ્લેલ પિરઆથોની દીકરા આબ્દોને ઇઝરાયલીઓ પર ન્યાયાધીશ તરીકે રાજ કર્યું. ૧૪ તેને ચાળીસ દીકરા અને ત્રીસ પૌત્રો હતા. તેઓએ સિત્તેર ગધેડાઓ પર સવારી કરી અને તેણે આઠ વર્ષ ઇઝરાયલનો ન્યાય કર્યો. ૧૫ હિલ્લેલ પિરાથોનીનો દીકરો આબ્દોન મરણ પામ્યો અને અમાલેકીઓના પહાડી પ્રદેશમાં એફ્રાઇમ દેશના પિરઆથોનમાં તેને દફનાવવામાં આવ્યો.