૪૭
૧ ફારુને ગાઝાને માર્યા પહેલા પલિસ્તીઓ વિષે, યહોવાહનું જે વચન યર્મિયા પ્રબોધક પાસે આવ્યું તે આ છે.
૨ યહોવાહ કહે છે કે; જુઓ, ઉત્તરમાંથી પૂર આવી રહ્યું છે; અને પલિસ્તીઓના સમગ્ર દેશ પર તે ફરી વળશે;
તે તેઓનાં નગરો તથા તેમાંના સર્વસ્વનો નાશ કરશે. શૂરવીર પુરુષો ભયથી બૂમો પાડશે
અને સર્વ પ્રજાજનો પોક મૂકીને રડશે.
૩ બળવાન ઘોડાઓનાં દાબડાનો અવાજ,
રથોનો ધસારો અને તેના પૈડાઓનો ગડગડાટ સાંભળી,
પિતાઓ એટલા નિ:સહાય થશે કે તેઓ પોતાના સંતાનો તરફ પાછા ફરીને જોયા વગર નાસી જશે.
૪ કેમ કે, એવો દિવસ આવશે કે જ્યારે બધા જ પલિસ્તીઓનો સંહાર થશે. તૂર અને સિદોનની સાથે બચી ગયેલા દરેક મદદગારને કાપી નાખવામાં આવશે. કેમ કે યહોવાહ પલિસ્તીઓનો એટલે સમુદ્રકાઠે આવેલા કાફતોરના બચી ગયેલાઓનો સંહાર કરશે.
૫ ગાઝાનું માથું મૂંડેલુ છે. આશ્કલોન એટલે તેઓની ખીણમાનું જે બચી ગયેલું તે નષ્ટ થયું છે. તું ક્યાં સુધી પોતાને કાપીને ઘાયલ કરશે? ૬ હે યહોવાહની તરવાર, તું ક્યારે શાંત થઈશ?
ફરી તું મ્યાનમાં પાછી જા અને આરામ કર અને શાંત રહે.
૭ પણ યહોવાહે તને આજ્ઞા આપી છે તો તું શી રીતે શાંત રહી શકે?
આશ્કલોન તથા સમુદ્ર કાંઠાની વિરુદ્ધ તેણે તરવાર નિર્માણ કરી છે.''