આડત્રીસ વર્ષથી માંદો માણસ સાજો થયો
૧ એ બન્યા પછી યહૂદીઓનું એક પર્વ હતું; તે સમયે ઈસુ યરુશાલેમ ગયા. ૨ હવે યરુશાલેમમાં 'ઘેટાંનો દરવાજો' નામે જગ્યા પાસે એક કૂંડ છે, તે હિબ્રૂ ભાષામાં બેથઝાથા કહેવાય છે. તેને લગતી પાંચ પરસાળ છે. ૩ તેમાં રોગી, અંધજનો, અપંગ, લકવાગ્રસ્તો એવાં ઘણાં બીમાર લોકો હતા. તેઓ તે કૂંડમાં પાણી હલવાની રાહ જોતાં હતા. ૪ કેમ કે કોઈ કોઈ સમયે એક દૂત તે કૂંડમાં ઊતરીને પાણીને હલાવતો હતો; પાણી હલાવ્યાં પછી જે કોઈ પહેલો તેમાં ઊતરતો, તેને જે કંઈ રોગ હોય તેથી તે રોગી સાજો થતો.
૫ ત્યાં એક માણસ હતો, જે આડત્રીસ વર્ષથી બીમાર હતો. ૬ તેને પડી રહેલો જોઈને તથા ઘણાં સમયથી તે એવો જ છે, તે જાણીને ઈસુ તેને કહે છે કે, 'શું તું સાજો થવા ચાહે છે?'
૭ તે બીમાર માણસે ઈસુને એવો જવાબ આપ્યો કે, 'પ્રભુ, જે સમયે પાણી હાલે છે, તે સમયે મને કૂંડમાં ઉતારવાને મારી પાસે કોઈ હોતું નથી. પણ હું ઊતરવા જાઉં છું, એટલામાં બીજો મારી અગાઉ ઊતરી પડે છે.' ૮ ઈસુ તેને કહે છે કે, 'ઊઠ, તારું બિછાનું ઊંચકીને ચાલતો થા.'
૯ તરત તે માણસ સાજો થયો અને પોતાનું બિછાનું ઊંચકીને ચાલવા લાગ્યો.
તે દિવસે વિશ્રામવાર હતો.
૧૦ તેથી જેને સાજો કરવામાં આવ્યો હતો તેને યહૂદીઓએ કહ્યું કે, 'આજે વિશ્રામવાર છે, એટલે તારે બિછાનું ઊંચકવું યોગ્ય નથી.' ૧૧ પણ તેણે તેઓને એવો જવાબ આપ્યો કે, 'જેમણે મને સાજો કર્યો તેમણે મને કહ્યું કે, તારું બિછાનું ઊંચકીને ચાલતો થા.'
૧૨ તેઓએ તેને પૂછ્યું કે, “તને જેણે એમ કહ્યું કે, 'બિછાનું ઊંચકીને ચાલ,' તે માણસ કોણ છે?” ૧૩ પણ તે કોણ છે, તે સાજો થયેલો માણસ જાણતો નહોતો; કેમ કે તે જગ્યાએ ભીડ હતી, ઈસુ ત્યાંથી આગળ ગયા હતા.
૧૪ પછીથી ઈસુએ તે માણસને ભક્તિસ્થાનમાં મળીને તેને કહ્યું કે, 'જો તું સાજો થયો છે; હવેથી પાપ ન કર, રખેને તારા પર વિશેષ વિપત્તિ આવી પડે.' ૧૫ તે માણસે જઈને યહૂદીઓને કહ્યું કે, 'જેમણે મને સાજો કર્યો તે ઈસુ છે.'
૧૬ તે કામો ઈસુએ વિશ્રામવારે કર્યાં હતાં, માટે યહૂદીઓ તેમની પાછળ લાગ્યા. ૧૭ પણ ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, 'મારા પિતા અત્યાર સુધી કામ કરે છે અને હું પણ કાર્યરત છું.' ૧૮ તે માટે ઈસુને મારી નાખવા યહૂદીઓએ વિશેષ પ્રયત્ન કર્યો; કેમ કે ઈસુએ વિશ્રામવારનો ભંગ કર્યો એટલું જ નહિ, પણ ઈશ્વરને પોતાના પિતા કહીને પોતાને ઈશ્વર સમાન કર્યા.
દીકરાનો અધિકાર
૧૯ ત્યારે ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, 'હું તમને ખરેખર કહું છું કે, દીકરો પિતાને જે કંઈ કરતા જુએ છે તે સિવાય પોતે અન્ય કંઈ કરી નથી શકતો; કેમ કે તે જે જે કરે છે તે તે દીકરો પણ કરે છે. ૨૦ કેમ કે પિતા દીકરા પર પ્રેમ કરે છે અને પોતે જે કંઈ કરે છે તે બધું તે તેને બતાવે છે; અને તે તેને એ કરતાં મોટાં કામ બતાવશે, એ માટે કે તમે આશ્ચર્ય પામો.
૨૧ કેમ કે જે પિતા મૃત્યુ પામેલાઓને સજીવન કરે છે, તેમ જ દીકરો પણ ચાહે તેમને સજીવન કરે છે. ૨૨ કેમ કે પિતા કોઈનો ન્યાય કરતા નથી, પણ ન્યાય કરવાનું સઘળું કામ તેમણે દીકરાને સોંપ્યું છે ૨૩ કે, જેમ બધા પિતાને માન આપે છે, તેમ દીકરાને પણ માન આપે. દીકરાને જે માન આપતો નથી, તે તેના મોકલનાર પિતાને પણ માન આપતો નથી.
૨૪ હું તમને નિશ્ચે કહું છું કે, જે મારાં વચન સાંભળે છે અને મને મોકલનાર પર વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે; તે અપરાધી ઠરશે નહિ, પણ તે મૃત્યુમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે.
૨૫ હું તમને ખાતરીપૂર્વક કહું છું કે, એવો સમય આવે છે અને હમણાં આવી ચૂક્યો છે કે, જયારે મૃત્યુ પામેલાંઓ ઈશ્વરના દીકરા ઈસુનાં વચન સાંભળશે અને સાંભળનારાંઓ જીવશે.
૨૬ કેમ કે જેમ પિતાને પોતાનામાં જીવન છે, તેમ દીકરાને પણ પોતાનામાં જીવન રાખવાનું તેમણે આપ્યું. ૨૭ ન્યાય કરવાનો અધિકાર પણ તેમણે તેને આપ્યો, કેમ કે તે માણસનો દીકરો છે.
૨૮ તેથી તમે આશ્ચર્ય ન પામો; કેમ કે એવો સમય આવે છે કે જયારે સર્વ જેઓ કબરમાં છે તેઓ તેમના વચન સાંભળશે; ૨૯ અને જેઓએ સારાં કામ કર્યા છે, તેઓ જીવનનું મરણોત્થાન પામવા માટે અને જેઓએ ખરાબ કામ કર્યાં છે, તેઓ શિક્ષાત્મક મરણોત્થાન પામવા માટે, નીકળી આવશે.
પ્રભુ ઈસુના સાક્ષીઓ
૩૦ હું મારી પોતાની તરફથી કંઈ કરી શકતો નથી; પરંતુ જે પ્રમાણે હું સાંભળું છું, તે પ્રમાણે ન્યાય કરું છું; અને મારો ન્યાયચૂકાદો અદલ છે. કેમ કે હું મારી પોતાની ઇચ્છા નહિ, પણ જેમણે મને મોકલ્યો છે, તેમની ઇચ્છા પૂરી કરવા ચાહું છું. ૩૧ જો હું પોતાના વિષે સાક્ષી આપું, તો મારી સાક્ષી સાચી નથી. ૩૨ પણ મારા વિષે જે સાક્ષી આપે છે, તે બીજો છે; અને જે સાક્ષી મારા વિષે તે આપે છે, તે સાચી છે, એ હું જાણું છું.
૩૩ તમે યોહાન પાસે માણસો મોકલ્યા, તમને તેણે સત્ય વિષે સાક્ષી આપી છે. ૩૪ તોપણ જે સાક્ષી હું સ્વીકારું છું તે માણસો તરફથી નથી; પણ તમે ઉદ્ધાર પામો માટે હું એ વાતો કહું છું. ૩૫ તે સળગતો તથા પ્રગટતો દીવો હતો, તેના પ્રકાશમાં તમે ઘડીભર આનંદ કરવાને રાજી હતા.
૩૬ પણ યોહાનના કરતાં મારી પાસે મોટી સાક્ષી છે; કેમ કે પિતાએ જે કામો મને પૂરાં કરવાને આપ્યાં છે, એટલે જે કામો હું કરું છું, તે જ મારે વિષે સાક્ષી આપે છે કે પિતાએ મને મોકલ્યો છે. ૩૭ વળી પિતાએ મને મોકલ્યો છે, તેમણે પણ મારે વિષે સાક્ષી આપી છે. તમે કદી તેમની વાણી નથી સાંભળી અને તેમનું સ્વરૂપ પણ નિહાળ્યું નથી. ૩૮ તેમના વચન તમારામાં રહેલાં નથી; કેમ કે જેને તેમણે મોકલ્યો, તેના પર તમે વિશ્વાસ કરતા નથી.
૩૯ તમે પવિત્રશાસ્ત્ર તપાસી જુઓ છો, કેમ કે તેઓથી તમને અનંતજીવન છે, એમ તમે ધારો છો; અને મારે વિષે સાક્ષી આપનાર તે એ જ છે. ૪૦ અને જીવન પામવા માટે તમે મારી પાસે આવવા ચાહતા નથી.
૪૧ હું માણસો તરફથી પ્રશંસાની ઇચ્છા રાખતો નથી. ૪૨ પણ હું જાણું છું કે ઈશ્વર પરનો પ્રેમ તમારામાં નથી.
૪૩ હું મારા પિતાના નામે આવ્યો છું, પણ તમે મારો સ્વીકાર કરતા નથી; જો કોઈ બીજો પોતાને નામે આવશે, તો તેનો તમે સ્વીકાર કરશો. ૪૪ તમે એકબીજાથી પ્રશંસા પામો છો, પણ જે પ્રશંસા એકલા ઈશ્વરથી છે તે તમે શોધતાં નથી, તો તમે વિશ્વાસ શી રીતે કરી શકો?
૪૫ હું પિતાની આગળ તમારા પર દોષ મૂકીશ, એમ ન ધારો; તમારા પર દોષ મૂકનાર એક, એટલે મૂસાનું નિયમશાસ્ત્ર છે, તેના પર તમે ભરોસો રાખો છો. ૪૬ કેમ કે જો તમે મૂસા પર વિશ્વાસ કર્યો હોત, તો તમે મારા પર વિશ્વાસ કરત; કેમ કે તેણે મારે વિષે લખેલું છે. ૪૭ પણ જો તમે તેનાં લખેલાં વચન પર વિશ્વાસ નથી કરતા, તો મારી વાતો પર તમે કેમ વિશ્વાસ કરશો?'