પૂર્વના જ્ઞાનીઓની મુલાકાત
૧ હેરોદ રાજાના સમયમાં યહૂદિયાના બેથલેહેમમાં ઈસુ જનમ્યાં ત્યારે, માગીઓએ પૂર્વથી યરુશાલેમમાં આવીને પૂછ્યું કે, ૨ “યહૂદીઓના જે રાજા જનમ્યાં છે, તે ક્યાં છે? કેમ કે પૂર્વમાં તેમનો તારો જોઈને, અમે તેમનું ભજન કરવાને આવ્યા છીએ.” ૩ એ સાંભળીને હેરોદ રાજા ગભરાયો અને તેની સાથે આખું યરુશાલેમ પણ ગભરાયું.
૪ ત્યાર પછી હેરોદ રાજાએ સર્વ મુખ્ય યાજકોને તથા શાસ્ત્રી લોકોને એકત્ર કરીને તેઓને પૂછ્યું કે, 'ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ?' ૫ તેઓએ તેને કહ્યું કે, “યહૂદિયાના બેથલેહેમમાં; કેમ કે પ્રબોધકે એમ લખ્યું છે કે, ૬ “ઓ યહૂદિયા દેશના બેથલેહેમ, તું યહૂદિયાના સૂબાઓમાં કોઈ પ્રકારે સર્વથી નાનું નથી, કેમ કે તારામાંથી એક અધિપતિ નીકળશે, જે મારા ઇઝરાયલી લોકોના પાળક થશે.”
૭ ત્યારે હેરોદ રાજાએ તે માગીઓને ગુપ્તમાં બોલાવીને, તારો કયા સમયે દેખાયો, તે વિષે તેઓ પાસેથી ચોકસાઈથી ખબર મેળવી. ૮ તેણે તેઓને બેથલેહેમમાં મોકલતાં કહ્યું કે, 'તમે જઈને તે બાળક સંબંધી સારી રીતે શોધ કરો અને તે પછી મને જણાવો, એ માટે કે હું પણ આવીને તેમનું ભજન કરું.'
૯ તેઓ રાજાનું કહેવું સાંભળીને ગયા અને જે તારો તેઓએ પૂર્વમાં જોયો હતો તે તેઓની આગળ ચાલતો ગયો અને જ્યાં બાળ ઈસુ હતા તે જગ્યા પર આવીને અટકી ગયો. ૧૦ તેઓ તારાને જોઈને મહા આનંદથી હરખાયા.
૧૧ ઘરમાં જઈને તેઓએ બાળકને તેની મા મરિયમની પાસે જોયું; પગે પડીને તેનું ભજન કર્યું. પછી તેઓએ પોતાની ઝોળી ખોલીને સોનું, લોબાન તથા બોળનું તેને નજરાણું કર્યું. ૧૨ હેરોદ પાસે પાછા જવું નહિ, એવી ચેતવણી સ્વપ્નમાં મળ્યાથી તેઓ બીજે માર્ગે પોતાના દેશમાં પાછા ગયા.
મિસરમાં પ્રયાણ
૧૩ તેઓના પાછા ગયા પછી, પ્રભુના સ્વર્ગદૂતે સ્વપ્નમાં યૂસફને કહ્યું કે, 'ઊઠ, બાળક તથા તેની માને લઈને મિસરમાં નાસી જા. હું તને કહું ત્યાં સુધી ત્યાં જ રહેજે, કેમ કે બાળકને મારી નાખવા સારુ હેરોદ તેમની શોધ કરવાનો છે.' ૧૪ ત્યારે યૂસફ રાત્રે ઊઠીને બાળક તથા તેની માને લઈને મિસરમાં ગયો; ૧૫ અને હેરોદના મરણ સુધી ત્યાં રહ્યો, એ માટે કે પ્રભુએ પ્રબોધક દ્વારા જે કહ્યું હતું તે પૂરું થાય કે, “મિસરમાંથી મેં મારા દીકરાને બોલાવ્યો.”
બાળકોની હત્યા
૧૬ જયારે હેરોદને માલૂમ પડ્યું કે માગીઓએ મને છેતર્યો ત્યારે તે ઘણો ગુસ્સે થયો અને માણસો મોકલીને જે વેળા સંબંધી તેણે માગીઓની પાસેથી ચોકસાઈથી ખબર મેળવી હતી, તે વેળા પ્રમાણે બે વર્ષનાં તથા તેથી નાનાં સર્વ નર બાળકો જેઓ બેથલેહેમમાં તથા તેના વિસ્તારમાં હતાં, તેઓને મારી નંખાવ્યાં.
૧૭ ત્યારે યર્મિયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થયું કે, ૧૮ “રડવાનો તથા મોટા વિલાપનો પોકાર રામા પ્રદેશમાં સંભળાયો. એટલે રાહેલ પોતાનાં બાળકો માટે રડતી પણ દિલાસો પામવા ઇચ્છતી નહોતી, કેમ કે તેના સંતાન રહ્યાં ન હતા.”
મિસરમાંથી પાછા ફરવું
૧૯ હેરોદના મરણ પછી, પ્રભુના સ્વર્ગદૂતે મિસરમાં યૂસફને સ્વપ્નમાં આવીને કહ્યું કે, ૨૦ 'ઊઠ, બાળક તથા તેની માને લઈને ઇઝરાયલ દેશમાં જા કેમ કે જેઓ બાળકનો જીવ લેવા ઇચ્છતા હતા, તેઓ મૃત્યુ પામ્યા છે.' ૨૧ ત્યારે યૂસફ બાળક તથા તેની માને લઈને ઇઝરાયલ દેશમાં આવ્યો.
૨૨ પણ આર્ખિલાઉસ પોતાના પિતા હેરોદને સ્થાને યહૂદિયામાં રાજ કરે છે, એ સાંભળીને તે ત્યાં જતા ગભરાયો, તોપણ સ્વપ્નમાં ચેતવણી પામીને ગાલીલના પ્રાંત તરફ વળ્યો. ૨૩ તે 'નાઝારી કહેવાશે,' એવું પ્રબોધકોનું કહેલું પૂરું થાય તે માટે નાસરેથ નામના નગરમાં આવીને રહ્યો.