સુકાઈ ગયેલા હાથવાળો માણસ
૧ ઈસુ ફરી સભાસ્થાનમાં આવ્યા; અને ત્યાં એક માણસ હતો જેનો હાથ સુકાઈ ગયેલો હતો. ૨ તેઓ વિશ્રામવારે તેને સાજો કરશે કે નહિ, તે વિષે તેઓએ તેમના પર ચાંપતી નજર રાખી, એ માટે કે તેઓ તેમના પર દોષ મૂકી શકે.
૩ પેલા સુકાયેલા હાથવાળા માણસને તેઓએ કહ્યું કે, 'વચમાં ઊભો થા.' ૪ અને તેઓએ પછી કહ્યું કે, 'વિશ્રામવારે સારું કરવું કે ખોટું કરવું? જીવને બચાવવો કે મારી નાખવો, કયું ઉચિત છે?' પણ તેઓ મૌન રહ્યા.
૫ તેઓના હૃદયની કઠોરતાને લીધે તે દિલગીર થઈને ગુસ્સાસહિત ચોતરફ તેઓને જોઈને તે માણસને કહ્યું કે, 'તારો હાથ લાંબો કર.' તેણે તે લાંબો કર્યો; અને તેનો હાથ સાજો થયો. ૬ શી રીતે ઈસુને મારી નાખવા તે વિષે ફરોશીઓએ બહાર જઈને તરત હેરોદીઓની સાથે તેમની વિરુદ્ધ મનસૂબો કર્યો.
સરોવર કાંઠે જનસમૂહ
૭ અને ઈસુ પોતાના શિષ્યો સહિત નીકળીને સમુદ્રની નજીકમાં ગયા; અને ગાલીલમાંથી ઘણાં લોકો તેમની પાછળ ગયા; તેમ જ યહૂદિયામાંથી ૮ તથા યરુશાલેમમાંથી, અદુમમાંથી, યર્દનને પેલે પારથી, તૂર તથા સિદોનની આસપાસના ઘણાં લોકો તેમણે જે જે કાર્યો કર્યા હતાં તે વિષે સાંભળીને તેમની પાસે આવ્યા.
૯ લોકોથી પોતે દબાય નહિ, માટે તેમણે ભીડના કારણે પોતાને સારુ હોડી તૈયાર રાખવાનું પોતાના શિષ્યોને કહ્યું; ૧૦ કેમ કે તેમણે ઘણાંને સાજાં કર્યાં હતાં અને તેથી જેટલાં માંદા હતાં તેટલાં તેમને અડકવા સારુ તેમના પર પડાપડી કરતાં હતાં.
૧૧ અશુદ્ધ આત્માઓએ જયારે તેમને જોયા ત્યારે તેઓ તેમને પગે પડ્યા તથા પોકારીને બોલ્યા કે, 'તમે ઈશ્વરના દીકરા છો.' ૧૨ તેમણે તેઓને હુકમ કર્યો કે, 'તમારે મને પ્રગટ કરવો નહિ.'
બાર પ્રેરિતોની પસંદગી
૧૩ ઈસુ પહાડ પર ચઢ્યાં અને જેઓને તેમણે પસંદ કર્યા તેઓને તેમણે બોલાવ્યા; અને તેઓ તેમની પાસે આવ્યા. ૧૪ ઈસુએ બાર પ્રેરિતોને નીમ્યા એ માટે કે તેઓ તેમની સાથે રહે અને તે તેઓને પ્રચાર કરવા મોકલે, ૧૫ અને તેઓ અધિકાર પામીને દુષ્ટાત્માઓને કાઢે. ૧૬ સિમોનનું નામ તેમણે પિતર પાડ્યું;
૧૭ તથા ઝબદીનો દીકરો યાકૂબ તથા યાકૂબનો ભાઈ યોહાન તેઓનું નામ તેમણે 'બને-રગેસ' પાડ્યું, એટલે કે 'ગર્જનાના દીકરા;' ૧૮ અને આન્દ્રિયા, ફિલિપ, બર્થોલ્મી, માથ્થી, થોમા, અલ્ફીનો દીકરો યાકૂબ, થદી, સિમોન કનાની ૧૯ તથા તેમને પકડાવી દેનાર યહૂદા ઇશ્કારિયોત; એ બારને તેમણે નીમ્યા. પછી તે એક ઘરમાં આવે છે.
ઈસુ અને બાલઝબૂલ
૨૦ ફરી એટલા બધા લોકો ભેગા થયા કે તેઓ રોટલી પણ ખાઈ ન શક્યા. ૨૧ તેમના સગાંઓ તે સાંભળીને તેમને પકડવા બહાર નીકળ્યાં; કેમ કે તેઓએ કહ્યું કે 'તે પાગલ છે.' ૨૨ જે શાસ્ત્રીઓ યરુશાલેમથી આવ્યા હતા તેઓએ કહ્યું કે, 'તેનામાં બાલઝબૂલ છે અને ભૂતોના સરદારની મદદથી તે ભૂતોને કાઢે છે.'
૨૩ તેમણે તેઓને પાસે બોલાવીને દ્રષ્ટાંતોમાં કહ્યું કે, 'શેતાન શેતાનને કેવી રીતે કાઢી શકે? ૨૪ જો કોઈ રાજ્યમાં અંદરોઅંદર ફૂટ પડી હોય, તો તે રાજ્ય સ્થિર રહી શકતું નથી. ૨૫ જો કોઈ ઘરમાં અંદરોઅંદર ફૂટ પડી હોય, તો તે ઘર સ્થિર રહી શકશે નહિ.
૨૬ જો શેતાન પોતાની ખુદની સામે થયો હોય અને તેનામાં ફૂટ પડી હોય, તો તે રહી શકતો નથી; પણ તેનો અંત આવ્યો જાણવું. ૨૭ બળવાનના ઘરમાં પેસીને જો કોઈ પહેલાં તે બળવાનને ન બાંધે તો તે તેનો સામાન લૂંટી શકતો નથી; પણ તેને બાંધ્યા પછી તે તેને લૂંટી શકશે.
૨૮ હું તમને નિશ્ચે કહું છું કે, માણસોના દીકરાઓને સર્વ અપરાધોની તથા જે જે દુર્ભાષણો તેઓ કરે તેની માફી મળશે. ૨૯ પણ જે કોઈ પવિત્ર આત્માની વિરુદ્ધ દુર્ભાષણ કરશે તેને માફી કદી મળશે નહિ; પણ તેને માથે અનંતકાળના પાપનો દોષ રહે છે.' ૩૦ કેમ કે તેઓ કહેતાં હતા કે તેને અશુદ્ધ આત્મા વળગેલો છે.
ઈસુના મા અને ભાઈઓ
૩૧ ત્યારે તેમના ભાઈઓ તથા તેમની મા આવ્યાં અને બહાર ઊભા રહીને તેમને બોલાવવા તેમની પાસે માણસ મોકલ્યો. ૩૨ ઘણાં લોકો તેમની આસપાસ બેઠેલા હતા; અને તેઓએ તેમને કહ્યું કે, 'જો તમારી મા તથા તમારા ભાઈઓ બહાર ઊભા છે અને તમને શોધે છે.'
૩૩ તેમણે તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, 'મારી મા તથા મારા ભાઈઓ કોણ છે?' ૩૪ જેઓ તેમની આસપાસ બેઠા હતા તેઓ તરફ ચારેબાજુ જોઈને તે કહે છે કે, 'જુઓ, મારી મા તથા મારા ભાઈઓ. ૩૫ કેમ કે જે કોઈ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરશે તે જ મારો ભાઈ તથા મારી બહેન તથા મા છે.'