ખ્રિસ્તની નમ્રતા અને મહાનતા
૧ માટે જો ખ્રિસ્તમાં કંઈ ઉત્તેજન, જો પ્રેમનો કંઈ દિલાસો, જો પવિત્ર આત્માની કંઈ સંગત, જો કંઈ હૃદયની અનુકંપા તથા કરુણા હોય, ૨ તો મારો આનંદ એવી રીતે સંપૂર્ણ કરો કે, તમે એક જ મનના થાઓ, એક સરખો પ્રેમ રાખો, એક જીવના તથા એક હૃદયના થાઓ.
૩ પક્ષાપક્ષીથી કે મિથ્યાભિમાનથી કશું કરો નહિ, દરેકે નમ્ર ભાવથી પોતાના કરતાં બીજાઓને ઉત્તમ ગણવા. ૪ તમે દરેક માત્ર પોતાના હિત પર જ નહિ, પણ બીજાઓનાં હિત પર પણ લક્ષ રાખો.
૫ ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું, તેવું તમે પણ રાખો ૬ પોતે ઈશ્વરના રૂપમાં હોવા છતાં, તેમણે ઈશ્વર સમાન હોવાનું પકડી રાખવાને ઇચ્છ્યું નહિ, ૭ પણ તેમણે દાસનું રૂપ ધારણ કરીને, એટલે માણસોની સમાનતામાં આવીને પોતાને ખાલી કર્યા; ૮ અને માણસના રૂપમાં પ્રગટ થઈને, વધસ્તંભ પરના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યા. ૯ તેને કારણે ઈશ્વરે તેમને ઘણાં ઊંચા કર્યા અને સર્વ નામો કરતાં એવું શ્રેષ્ઠ નામ આપ્યું કે, ૧૦ સ્વર્ગમાંનાં, પૃથ્વી પરનાં તથા પાતાળમાંનાં સર્વ ઈસુને નામે ઘૂંટણે પડીને નમે; ૧૧ અને ઈશ્વરપિતાના મહિમાને અર્થે દરેક જીભ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે.
દુનિયામાં જ્યોતિઓ જેવા પ્રકાશો
૧૨ તેથી, મારા પ્રિય ભાઈઓ, તમે જેમ હંમેશા આધીન રહેતા હતા તેમ, કેવળ મારી હાજરીમાં જ નહિ, પણ હવે વિશેષે કરીને મારી ગેરહાજરીમાં પણ તમારો ઉદ્ધાર થાય માટે ભય તથા કંપારીસહિત પ્રયત્ન કરો. ૧૩ કેમ કે જે પોતાની પ્રસન્નતા પ્રમાણે તમારામાં ઇચ્છવાની તથા પ્રયત્ન કરવાની પ્રેરણા આપે છે, તે તો ઈશ્વર છે.
૧૪ બડબડાટ તથા તકરાર વગર બધું કરો ૧૫ કે, જેથી કુટિલ તથા આડી પ્રજા મધ્યે તમે નિર્દોષ તથા સાલસ, ઈશ્વરનાં નિષ્કલંક સંતાન, જીવનનું વચન પ્રગટ કરીને દુનિયામાં જ્યોતિઓ તરીકે પ્રકાશો. ૧૬ જેથી ખ્રિસ્તનાં સમયમાં મને ગર્વ કરવાનું એવું કારણ મળે કે હું નિરર્થક દોડ્યો નથી અને મેં વ્યર્થ શ્રમ કર્યો નથી.
૧૭ પણ જો હું તમારા વિશ્વાસના અર્પણ તથા સેવા પર રેડાવું પડે તોપણ હું આનંદ કરીશ અને તમારી સર્વની સાથે આનંદ કરીશ. ૧૮ એમ જ તમે પણ મારી સાથે આનંદમાં સહભાગી બનો.
તિમોથી અને એપાફ્રોદિતસ
૧૯ પણ હું પ્રભુ ઈસુમાં આશા રાખું છું કે, હું તિમોથીને તમારી પાસે વહેલો મોકલીશ, જેથી તમારી ખબર જાણીને મને પણ આનંદ થાય. ૨૦ કેમ કે તમારી સંભાળ સારી રીતે રાખે તેવો તિમોથી જેવા સારા સ્વભાવવાળો બીજો કોઈ માણસ મારી પાસે નથી. ૨૧ કેમ કે સર્વ માણસો ખ્રિસ્ત ઈસુની વાત નહિ, પણ પોતાની જ વાત શોધે છે.
૨૨ પણ તમને તો અનુભવથી ખાતરી થઈ છે કે જેમ દીકરો પિતાની સાથે [કામ કરે], તેમ તેણે સુવાર્તા [ના પ્રસાર] ને માટે મારી સાથે સેવા કરી. ૨૩ એ માટે હું આશા રાખું છું કે, જયારે મારા વિષે શું થવાનું છે તે હું જાણીશ કે તરત હું તેને મોકલી દઈશ; ૨૪ વળી હું પ્રભુમાં ભરોસો રાખું છું કે, હું પોતે પણ વહેલો આવીશ.
૨૫ તોપણ મારો ભાઈ એપાફ્રોદિતસ, મારી સાથે કામ કરનાર તથા સહયોદ્ધો, તેમ જ તમારો સંદેશવાહક તથા મારી જરૂરિયાત પૂરી પાડનાર છે' તેને તમારી પાસે મોકલવાની અગત્ય મને જણાઈ; ૨૬ કારણ કે તે તમો સર્વ પર બહુ પ્રેમ રાખતો હતો અને તે ઘણો ઉદાસ હતો, કેમ કે તમે સાંભળ્યું હતું કે તે બીમાર છે; ૨૭ તે મરણતોલ બીમાર હતો ખરો; પણ ઈશ્વરે તેના પર દયા કરી, કેવળ તેના પર જ નહિ, પણ મારા પર પણ કે, મને શોક ન થાય અને આઘાત ન લાગે.
૨૮ તમે તેને જોઈને ફરીથી ખુશ થાઓ અને મારું દુઃખ પણ ઓછું થાય, માટે મેં ખૂબ ઉતાવળે તેને મોકલ્યો. ૨૯ માટે તમે પૂર્ણ આનંદથી પ્રભુને નામે તેનો આદરસત્કાર કરો; અને એવાઓને માનયોગ્ય ગણો; ૩૦ કેમ કે ખ્રિસ્તનાં કામને માટે તે મરણની નજીક આવી ગયો અને મારે અર્થે તમારી સેવામાં જે અધૂરું હતું તે સંપૂર્ણ કરવાને તેણે પોતાનો જીવ જોખમમાં નાખ્યો.