૬૩
 ૧ આ જે અદોમથી, બોસરાથી કિરમજી રંગનાં વસ્ત્ર પહેરીને આવે છે તે કોણ છે? 
આ રાજકીય પોશાકમાં, પોતાના પુષ્કળ સામર્થ્યમાં વિશ્વાસથી કૂચ કરીને કોણ આવે છે? 
એ તો હું, ન્યાયીપણાથી બોલનાર અને ઉધ્ધારવાને શક્તિમાન, તે હું છું. 
 ૨ તારા પોશાક કેમ લાલ છે, તારાં વસ્ત્ર દ્રાક્ષાકુંડમાં દ્રાક્ષા ખૂંદનારનાં વસ્ત્ર જેવાં કેમ થયાં છે? 
 ૩ મેં એકલાએ દ્રાક્ષાકુંડમાં દ્રાક્ષ ખૂંદી છે અને લોકોમાંથી કોઈ માણસ મારી સાથે નહોતો. 
મેં મારા રોષમાં તેઓને ખૂંદી અને મારા કોપમાં તેઓને છૂંદી નાખી. 
તેઓનું રક્ત મારા વસ્ત્ર પર છંટાયું અને તેથી મારા તમામ પોશાક પર ડાઘ પડ્યા છે. 
 ૪ કેમ કે હું વેરના દિવસનો વિચાર કરતો હતો અને મારા છુટકારાનું વર્ષ આવી પહોંચ્યું છે. 
 ૫ મેં જોયું અને ત્યાં સહાય કરનાર કોઈ નહોતો. કોઈ મદદ કરનાર નહોતો એથી હું વિસ્મય પામ્યો, 
પણ મારો પોતાનો ભુજ મારા માટે વિજય લાવ્યો અને મારા કોપે મને ટેકો આપ્યો. 
 ૬ મેં મારા રોષમાં લોકોને છૂંદી નાખ્યા અને મારા કોપમાં તેમને પીવડાવીને ભાન ભૂલેલા કર્યા, 
અને મેં તેઓનું રક્ત ભૂમિ પર રેડી દીધું. 
 ૭ હું યહોવાહનાં કૃપાનાં કાર્ય વિષે કહીશ, જે સ્તુતિયોગ્ય કાર્યો યહોવાહે કર્યા છે તે જણાવીશ. 
યહોવાહે આપણા માટે શું કર્યું છે અને ઇઝરાયલનાં ઘર પર જે મહાન ભલાઈ કરી છે તે વિષે હું કહીશ. 
આ દયા તેમણે આપણને તેમની કૃપાને કારણે બતાવી છે અને તે કૃપાનું કાર્ય છે. 
 ૮ કેમ કે તેમણે કહ્યું, “ખરેખર તેઓ મારા લોકો છે, કપટ ન કરે એવાં છોકરાં છે.” 
તે તેઓના ઉધ્ધારક થયા. 
 ૯ તેઓના સર્વ દુઃખોમાં 
તે દુઃખી થયા અને તેમની હજૂરના દૂતે તેઓનો ઉદ્ધાર કર્યો. 
પ્રભુએ પોતાના પ્રેમમાં અને પોતાની દયાથી તેઓનો ઉદ્ધાર કર્યો 
અને પુરાતન કાળના સર્વ દિવસોમાં તેમણે તેઓને ઊંચકીને ફેરવ્યા. 
 ૧૦ પણ તેઓએ બંડ કરીને તેમના પવિત્ર આત્માને ખિન્ન કર્યો. 
તેથી તે પોતે તેમના શત્રુ થઈને તેઓની સામે લડ્યા. 
 ૧૧ તેમના લોકોએ મૂસાના પુરાતન સમયનું સ્મરણ કર્યું. 
તેઓએ કહ્યું, “સમુદ્રમાંથી જે અમોને પોતાના ટોળાંના પાળક સહિત ઉપર લાવ્યા તે ઈશ્વર ક્યાં છે? 
જેમણે અમારામાં પોતાનો પવિત્ર આત્મા મૂક્યો, તે ઈશ્વર ક્યાં છે? 
 ૧૨ જેમણે મૂસાને જમણે હાથે પોતાનું ગૌરવી સામર્થ્ય મોકલ્યું, 
અને પોતાનું નામ અનંતકાળને માટે કરવાને તેમણે અમારી આગળ સમુદ્રના પાણીના બે ભાગ કર્યા, તે ઈશ્વર ક્યાં છે? 
 ૧૩ જેમણે અમને જાણે મેદાન પર ઘોડો ચાલતો હોય તેમ ઊંડાણમાં એવી રીતે ચલાવ્યા કે અમે ઠોકર ખાધી નહિ, તે ઈશ્વર ક્યાં છે? 
 ૧૪ ખીણમાં ઊતરી જનારાં જાનવરની જેમ તેઓ યહોવાહના આત્માથી વિશ્રામ પામ્યા; 
તે પ્રમાણે તમે પોતાને માટે મહિમાવંત નામ કરવાને માટે તમારા લોકોને દોર્યા. 
 ૧૫ આકાશમાંથી નજર નાખીને તમારા પવિત્ર તથા પ્રતાપી નિવાસસ્થાનમાંથી જુઓ. 
તમારો ઉત્સાહ અને તમારાં મહાન કાર્યો ક્યાં છે? 
તમારી લાગણી અને તમારા દયાળુ કાર્યો અમારાથી દૂર રાખવામાં આવ્યાં છે. 
 ૧૬ કેમ કે તમે અમારા પિતા છો, 
જો કે ઇબ્રાહિમ અમને જાણતા નથી અને ઇઝરાયલ અમને કબૂલ કરતા નથી, 
તમે, હે યહોવાહ, તમે અમારા પિતા છો. પ્રાચીન કાળથી “અમારો ઉદ્ધાર કરનાર” એ જ તમારું નામ છે. 
 ૧૭ હે યહોવાહ, તમે શા માટે અમને તમારા માર્ગ પરથી ભટકાવી દો છો અને અમારાં હૃદયો કઠણ કરો છો, જેથી અમે તમારી આજ્ઞા પાળીએ નહિ? 
તમારા સેવકોની ખાતર, તમારા વારસાનાં કુળોને માટે પાછા આવો. 
 ૧૮ થોડો જ વખત તમારા લોકોએ પવિત્રસ્થાનનું વતન ભોગવ્યું છે, પણ પછી અમારા શત્રુઓએ તેને કચડ્યું છે. 
 ૧૯ જેઓના પર તમે ક્યારેય રાજ કર્યું નથી, જેઓ તમારા નામથી ઓળખાતા નથી તેઓના જેવા અમે થયા છીએ.