૧૫
 ૧ હે યહોવાહ, તમારા પવિત્રમંડપમાં કોણ નિવાસ કરશે? 
તમારા પવિત્ર પર્વતમાં કોણ રહેશે? 
 ૨ જે નિર્દોષતાથી ચાલે છે અને ન્યાયથી વર્તે છે 
અને જે પોતાના હૃદયમાં સત્ય બોલે છે, તે. 
 ૩ તે કદી પોતાની જીભે ચાડી કરતો નથી, 
બીજાનું ખરાબ કરતો નથી, 
પોતાના પડોશી પર તહોમત મૂકતો નથી. 
 ૪ તેની દ્રષ્ટિમાં પાપી માણસ ધિક્કારપાત્ર છે 
પણ જેઓ યહોવાહથી ડરે છે તેને તે માન આપે છે. 
તે પોતાના હિત વિરુદ્ધ સોગન ખાઈને ફરી જતો નથી. 
 ૫ તે પોતાનાં નાણાં વ્યાજે આપતો નથી. 
જે નિરપરાધી વિરુદ્ધ લાંચ લેતો નથી. 
એવાં કામ કરનાર કદી ડગશે નહિ.