૨૮
 ૧ હે યહોવાહ, હું તમને વિનંતિ કરીશ; હે મારા ખડક, મને તરછોડશો નહિ. 
જો તમે મારી સાથે મૌન ધારણ કરશો, તો હું કબરમાં ઊતરી જનારા જેવો થઈ જઈશ. 
 ૨ જ્યારે હું તમને વિનંતિ કરું, ત્યારે મારા કાલાવાલા સાંભળજો, 
જ્યારે હું મારા હાથ તમારા પરમપવિત્રસ્થાન તરફ જોડું, ત્યારે મારી યાચનાના કાલાવાલા સાંભળજો. 
 ૩ જેઓ મુખ પર શાંતિ અને હૃદયમાં પાપ રાખીને પોતાના પડોશી સાથે બોલે છે, 
તે દુષ્ટ અને કુકર્મીઓની સાથે મને ધકેલી દેશો નહિ. 
 ૪ તેઓનાં કૃત્ય પ્રમાણે અને તેઓનાં કર્મોની દુષ્ટતા પ્રમાણે તેઓને ફળ આપો; 
તેઓના હાથનાં કામ પ્રમાણે તેઓને ફળ આપો; તેઓને યોગ્ય બદલો આપો. 
 ૫ કેમ કે તેઓ યહોવાહના માર્ગો તથા તેમના હાથનાં કામો સમજતા નથી, 
તે તેઓને તોડી પાડશે અને કદી તેઓને સ્થિર કરશે નહિ. 
 ૬ યહોવાહની સ્તુતિ થાઓ, 
કારણ કે તેમણે મારા કાલાવાલા સાંભળ્યા છે! 
 ૭ યહોવાહ મારું સામર્થ્ય અને મારી ઢાલ છે; 
મારા હૃદયે તેમના ઉપર ભરોસો રાખ્યો છે અને મને તેમની સહાય મળી છે. 
માટે મારા હૃદયમાં અત્યંત આનંદ થાય છે 
અને તેમની સ્તુતિ ગાઈને હું તેમનો આભાર માનીશ. 
 ૮ યહોવાહ પોતાના અભિષિક્ત લોકોનું સામર્થ્ય છે 
તે તેમના ઉદ્ધારમાટેનો કિલ્લો છે. 
 ૯ તમારા લોકોનો બચાવ કરો અને તમારા વારસાને આશીર્વાદ આપો. 
વળી તેઓનું પાલનપોષણ કરીને સદા તેઓને ઊંચકી રાખો.