૪૬
 ૧ ઈશ્વર આપણો આશ્રય તથા સામર્થ્ય છે, 
સંકટને સમયે તે હાજરહજૂર મદદગાર છે. 
 ૨ માટે જો પૃથ્વી ઊથલપાથલ થાય 
જો પર્વતો સમુદ્રમાં ડૂબી જાય, તોપણ આપણે બીહીએ નહિ. 
 ૩ જો તેનું પાણી ગર્જના કરે તથા વલોવાય 
જો તેના ઊછળવાથી પર્વતો કાંપી ઊઠે, તોપણ આપણે બીહીએ નહિ. 
સેલાહ 
  ૪ ત્યાં એક નદી છે જેના ઝરણાંઓ ઈશ્વરના નગરને 
એટલે પરાત્પરના મંડપના પવિત્રસ્થાનને આનંદમય કરે છે. 
 ૫ ઈશ્વર તેની વચમાં છે; તેને હલાવી શકાશે નહિ; 
મોટી સવારે ઈશ્વર તેને મદદ કરશે. 
 ૬ વિદેશીઓએ તોફાન મચાવ્યું છે અને રાજ્યો ડગમગી ગયાં; 
તેમણે ગર્જના કરી એટલે, પૃથ્વી પીગળી ગઈ. 
 ૭ આપણી સાથે સૈન્યોના સરદાર યહોવાહ છે; 
આપણો આશ્રય યાકૂબના ઈશ્વર છે. 
સેલાહ 
  ૮ આવો યહોવાહનાં પરાક્રમો જુઓ, 
તેમણે પૃથ્વીની કેવી પાયમાલી કરી છે તે જુઓ. 
 ૯ તે પૃથ્વીના છેડાઓ સુધી યુદ્ધોને બંધ કરી દે છે; 
તે ધનુષ્યને ભાંગી નાખે છે અને ભાલાને કાપી નાખે છે; 
રથોને અગ્નિથી બાળી નાખે છે. 
 ૧૦ શાંત રહો અને જાણો કે હું ઈશ્વર છું; 
હું વિદેશીઓમાં મોટો મનાઈશ; હું પૃથ્વીમાં મોટો મનાઈશ. 
 ૧૧ સૈન્યોના યહોવાહ આપણી સાથે છે; 
યાકૂબના ઈશ્વર આપણા આશ્રય છે. 
સેલાહ